1000થી વધુ સાયબર ગુલામોનો સોદો કરનાર ‘ધ ઘોસ્ટ’ ઝડપાયો
ધો.12 પાસ નીલ પુરોહિત દ્વારા વિદેશમાં નોકરી અપાવવાના બહાને ચાલતા આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ
ભારત-શ્રીલંકા-નેપાળ-બાંગ્લાદેશ અને આફ્રિકન દેશોના 500થી વધુ નાગરિકોને મ્યાનમાર-કમ્બોડિયામાં વેંચી માર્યા
ગુજરાત સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ (CCE) એ એક ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે. મ્યાનમાર અને કમ્બોડિયામાં સક્રિય ચીની સાયબર માફિયાઓ માટે ભારતીય યુવાનોને ગુલામ તરીકે મોકલતા આંતરરાષ્ટ્રીય રેકેટનો મુખ્ય સૂત્રધાર આણંદના ધો.12 પાસ નીલેશ પુરોહિત ઉર્ફે નીલ ઝડપાઈ ગયો છે. ‘ધ ઘોસ્ટ’ના કોડનેમથી ઓળખાતો આ આરોપી ગાંધીનગરથી મલેશિયા ભાગવાની ફિરાકમાં હતો ત્યારે જ તેને દબોચી લેવામાં આવ્યો છે. આ રેકેટમાં માનવ તસ્કરી અને સાયબર ક્રાઈમના ગંભીર ગુનાઓનો પર્દાફાશ થયો છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો હેઠળ કાર્યરત CID ક્રાઈમની ટીમે આ અત્યંત જટિલ ઓપરેશન પાર પાડ્યું છે. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે, સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે નીલ પુરોહિતને ગાંધીનગર ખાતેથી પકડી પાડ્યો હતો. કોર્ટમાં રજૂ કરાતા તેના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, તેના સાથીદારો હિતેશ સોમૈયા, સોનલ ફળદુ, ભાવદીપ જાડેજા અને હરદીપ જાડેજાની પણ ધરપકડ કરવામાં આવી છે, જેઓ આ નેટવર્કના સબ-એજન્ટ તરીકે કામ કરતા હતા.
પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આણંદનો વતની અને ધો.12 પાસ નીલ પુરોહિત એક સુવ્યવસ્થિત સિન્ડિકેટ ચલાવતો હતો, જેમાં તે 126 થી વધુ સબ-એજન્ટોનું સંચાલન કરતો હતો. તેના તાર માત્ર ભારત પૂરતા સીમિત ન હતા; તે 30 થી વધુ પાકિસ્તાની એજન્ટો અને વિદેશી સાયબર ફ્રોડ કંપનીઓના 100 થી વધુ ઇંછ મેનેજરો સાથે સીધો સંપર્ક ધરાવતો હતો. તપાસમાં એ પણ ખુલ્યું છે કે તેણે ભારત ઉપરાંત શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ અને આફ્રિકન દેશોના 500 થી વધુ નાગરિકોને દુબઈ મારફતે મ્યાનમાર અને કમ્બોડિયાના સ્કેમ સેન્ટરોમાં મોકલ્યા હતા. તેણે 1000 થી વધુ અન્ય લોકોને મોકલવાની ડીલ પણ કરી રાખી હતી.
આરોપી નીલ યુવાનોને ફસાવવા માટે ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનો ઉપયોગ કરતો હતો. ત્યાં વિદેશમાં ઉંચા પગારવાળી ડેટા એન્ટ્રી જોબની લાલચ આપવામાં આવતી હતી. એકવાર શિકાર જાળમાં ફસાય એટલે તેમના પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવતા અને તેમને બંધક બનાવી દેવાતા. ત્યારબાદ ગેરકાયદેસર રીતે બોર્ડર પાર કરાવીને મ્યાનમારના ઊંઊં પાર્ક જેવા કુખ્યાત વિસ્તારોમાં લઈ જઈને બળજબરીથી સાયબર ફ્રોડ (જેમ કે ક્રિપ્ટો સ્કેમ, ફિશિંગ, ડેટિંગ એપ ફ્રોડ) કરાવવામાં આવતા હતા. જો કોઈ કામ કરવાની ના પાડે તો તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.
આ કાળા કારોબારમાંથી નીલ પુરોહિતને વ્યક્તિ દીઠ 2000 થી 4500 (અંદાજે 1.6 લાખ થી 3.7 લાખ રૂૂપિયા) સુધીનું કમિશન મળતું હતું. આ નાણાકીય વ્યવહારોને ટ્રેસ ન કરી શકાય તે માટે તે મ્યુલ એકાઉન્ટ્સ (ભાડાના ખાતા) અને 5 થી વધુ ક્રિપ્ટો વોલેટ્સનો ઉપયોગ કરતો હતો. તે પોતાના હાથ નીચેના એજન્ટોને કમિશનમાંથી 30-40 ટકા હિસ્સો આપતો હતો.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 3 વર્ષમાં ભારત સરકારે થાઈલેન્ડ અને મ્યાનમાર સરકારની મદદથી 4000 થી વધુ ભારતીયોને આવા કેમ્પોમાંથી મુક્ત કરાવ્યા છે. મુક્ત થયેલા મોટાભાગના પીડિતોએ નીલ પુરોહિતનું નામ આપ્યું હતું, જે પોલીસ માટે મહત્વની કડી બની હતી. 500 કરોડના ખર્ચે તૈયાર થયેલા સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ માટે આ કાર્યવાહી એક સીમાચિહ્નરૂૂપ ઘટના છે.
100થી વધુ એજન્ટોનું નેટવર્ક
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયાને જણાવ્યું હતું કે પુરોહિત હેઠળ કામ કરતા 100થી વધુ સબ-એજન્ટોમાંથી કોઈ પણ તેના અસલી નામથી પરિચિત નહોતું. જ્યારે તેને પકડવામાં આવ્યો ત્યારે તે મલેશિયા ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે પુરોહિત અત્યંત સંગઠિત આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરી નેટવર્ક ચલાવતો હતો. તે 126થી વધુ સબ-એજન્ટોનું સંચાલન કરતો હતો અને 30થી વધુ પાકિસ્તાની એજન્ટોના સંપર્કમાં હતો. આ ઉપરાંત, તે 100થી વધુ ચીની અને વિદેશી કંપનીઓના એચઆર નેટવર્ક સાથે સીધો જોડાયેલો હતો, જે સાયબર ફ્રોડ સ્કેમ કેમ્પમાં લોકોને સપ્લાય કરતા હતા.