દિલ્હીથી મેરઠ સુધી ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડ્યા
દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. સવારે 9:04 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. લાંબા સમય સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.4 હતી. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાનું ઝજ્જર હતું. ભૂકંપના આંચકા અનુભવાયા બાદ લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા.
ગઇકાલથી જ દિલ્હીમાં ભારે વરસાદ પડી રહ્યો છે એવામાં ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. દિલ્હીની સાથે સાથે નોઈડા, ગાઝિયાબાદમાં પણ ભૂકંપ અનુભવાયો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.4 માપવામાં આવી છે.
ભૂકંપ દરમિયાન થોડા સમય માટે મેટ્રોનું સંચાલન બંધ કરવામાં આવ્યું હતું. હવે મેટ્રો ફરી સામાન્ય થઈ ગઈ છે. દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં પંખા અને ઘરવખરીની વસ્તુઓ ધ્રુજવા લાગી ત્યારે લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. નોઈડા અને ગુરુગ્રામમાં પણ ઓફિસોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જ્યાં કમ્પ્યુટર સિસ્ટમ હલી ગઈ હતી અને કર્મચારીઓને પણ ભૂકંપનો અનુભવ થયો હતો.
યુપીના મેરઠમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બુલંદશહેરમાં પણ આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત બાગપત અને બરૌતમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.
12 મેના રોજ યુપી-બિહારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા
12 મેના રોજ યુપી અને બિહારના ઘણા શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે દરમિયાન લોકોએ સોશિયલ મીડિયા પર પોતાના અનુભવો શેર કર્યા. કેટલાકે કહ્યું કે ભૂકંપ હળવો હતું, જ્યારે કેટલાકે તેને ભયાનક ગણાવ્યો હતો.