પ્રથમ તબક્કાના મતદાન પહેલા તેજસ્વીની ‘માઇ-બહિન’ યોજના, દરેક મહિલાને ખાતામાં 30,000
દર મહિને રૂા.બે હજાર, પાંચ લાખનો વીમો અને વ્યાજમાફીની જાહેરાત
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનો પ્રચાર શાંત થતા પહેલા, મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવે કેટલાક મોટા ચૂંટણી વાયદા કર્યા છે. એક પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે દાવો કર્યો કે આ વખતે બિહારની જનતા પરિવર્તનના મૂડમાં છે અને જૂની સરકારને ઉખાડી ફેંકશે.
આ દરમિયાન, તેજસ્વી યાદવે વચન આપ્યું કે જો તેમની સરકાર બનશે, તો તરત જ માઈ-બહિન માન યોજના લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું, મકરસંક્રાંતિના દિવસે, 14 જાન્યુઆરીએ, અમે માતાઓ અને બહેનોના ખાતામાં આખા વર્ષના 30000 રૂૂપિયા એકસાથે જમા કરવાનું કામ કરીશું.
જીવિકા દીદીઓ માટે જાહેરાત કરતા તેમણે કહ્યું કે, નીતિશ સરકારમાં તેમનું ખૂબ શોષણ થયું છે. તેમણે વચન આપ્યું કે, જે જીવિકા દીદી કોમ્યુનિટી મોબીલાઈઝર છે, તેમને અમે કાયમી કરીશું અને તેમનું માનદ વેતન 30000 રૂૂપિયા કરીશું. જે કેડર (અન્ય જીવિકા દીદીઓ) છે, તેમને પણ દર મહિને 2000 રૂૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત, પાંચ લાખનો વીમો અને વ્યાજ માફી પણ આપવામાં આવશે.
આ સાથે જ, તેજસ્વી યાદવે સરકારી કર્મચારીઓને આકર્ષવા માટે જૂની પેન્શન યોજના (Old Pension Scheme - OPS) લાગુ કરવાનું પણ વચન આપ્યું હતું. તેમણે એ પણ કહ્યું કે પોલીસકર્મી, શિક્ષકો, આરોગ્યકર્મીઓ અને અન્ય કર્મચારીઓની ટ્રાન્સફર-પોસ્ટિંગ તેમના ગૃહ જિલ્લાથી 70 કિલોમીટરના દાયરામાં જ કરવામાં આવશે.
