આઠ વર્ષ બાદ T-20 સિરીઝ રમવા ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે ટીમ ઇન્ડિયા
આગામી 6થી 14 જુલાઇ દરમ્યાન પાંચ મેચ રમશે
ભારતીય ટીમ આઠ વર્ષ બાદ ટી-20 સિરીઝ રમવા ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે. ટીમ ઈન્ડિયા આ જુલાઈમાં ઝિમ્બાબ્વે સામે પાંચ મેચ રમશે. વર્ષ 2016 પછી આ પ્રથમ વખત હશે જ્યારે ભારત ટી-20 સિરીઝ માટે ઝિમ્બાબ્વેનો પ્રવાસ કરશે. ઝિમ્બાબ્વે ક્રિકેટ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. ટી-20 શ્રેણી 6 જુલાઈથી 14 જુલાઈ વચ્ચે રમાશે.
ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ તેની તમામ મેચ હરારેમાં જ રમશે. આ સિરીઝ 1 થી 29 જૂન દરમિયાન યોજાનાર ટી-20વર્લ્ડ કપ પછી યોજવામાં આવશે. ઝિમ્બાબ્વે ક્રિકેટના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સિરીઝનો પ્રાથમિક ઉદ્દેશ્ય દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાનો અને બંને ક્રિકેટ બોર્ડ વચ્ચે સહકારની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે.બીસીસીઆઈના સચિવ જય શાહે કહ્યું, પબીસીસીઆઈએ હંમેશા વૈશ્વિક ક્રિકેટ સમુદાયમાં યોગદાન આપવામાં અગ્રણી ભૂમિકા ભજવી છે. અમે સમજીએ છીએ કે આ ઝિમ્બાબ્વે માટે પુન:નિર્માણનો સમયગાળો છે અને ઝિમ્બાબ્વે ક્રિકેટને આ સમયે અમારા સમર્થનની જરૂૂર છે. આ ચોથી વખત હશે જ્યારે ઝિમ્બાબ્વે દ્વિપક્ષીય ટી-20 શ્રેણીમાં ભારતની યજમાની કરશે. અગાઉ આ શ્રેણી 2010, 2015 અને 2016માં રમાઈ હતી. ભારતે 2010 અને 2016માં જીત મેળવી હતી. વર્ષ 2015માં શ્રેણી ડ્રોમાં સમાપ્ત થઈ.