દિલ્હીમાં તાલિબાની ફરમાન: મહિલા પત્રકારોને નો એન્ટ્રી?
અફઘાનના વિદેશમંત્રીની પત્રકાર પરિષદમાં મહિલા પત્રકારોને દૂર રખાતા સોશિયલ મીડિયામાં હોબાળો
અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી ગુરુવારથી ભારતની મુલાકાતે છે. તેઓ સાત દિવસની મુલાકાતે છે. તેમણે શુક્રવારે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે પણ મુલાકાત કરી હતી અને ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જોકે, મહિલા પત્રકારોને કોન્ફરન્સમાં હાજરી આપવાથી રોકવામાં આવ્યા હતા. મહિલા પત્રકારો પર પ્રતિબંધ અંગે પત્રકારો અને સોશિયલ મીડિયા વપરાશકર્તાઓએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને તેને અસ્વીકાર્ય ગણાવ્યું હતું.
એક સોશિયલ મીડિયા વપરાશકર્તાએ કહ્યું હતું કે પ્રેસ કોન્ફરન્સમાં કોઈપણ મહિલા પત્રકારોને આમંત્રણ ન આપવું એ અસ્વીકાર્ય પગલું હતું. બીજા વપરાશકર્તાએ ટિપ્પણી કરી, મને લાગે છે કે પુરુષ પત્રકારોએ વિરોધમાં પ્રેસ કોન્ફરન્સમાંથી બહાર નીકળી જવું જોઈએ.આ પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોની ગેરહાજરી અફઘાનિસ્તાનમાં મહિલાઓની ભયાનક સ્થિતિને પ્રતિબિંબિત કરે છે. ઓગસ્ટ 2021 માં તાલિબાન સત્તામાં આવ્યા પછી, ખાસ કરીને અફઘાનિસ્તાનમાં મહિલાઓની સ્થિતિ અત્યંત ભયાનક છે. તાલિબાને મહિલા અધિકારો પર કડક પ્રતિબંધો લાદ્યા છે, ગયા મહિને, અફઘાનિસ્તાનમાં એક અઠવાડિયામાં ત્રીજો ભૂકંપ આવ્યો હતો, જેમાં 2,200 થી વધુ લોકો માર્યા ગયા હતા અને હજારો ઘાયલ થયા હતા.
અહેવાલો દર્શાવે છે કે આ આપત્તિથી મહિલાઓ સૌથી વધુ પ્રભાવિત થઈ હતી, કાટમાળ નીચે ફસાઈ ગઈ હતી કારણ કે તાલિબાન દ્વારા લાદવામાં આવેલા કડક નિયમોમાં પુરુષ બચાવકર્તાઓને મહિલાઓને સ્પર્શ કરવાની મનાઈ હતી. તાલિબાને 12 વર્ષથી વધુ ઉંમરની છોકરીઓ માટે માધ્યમિક શાળા (6ઠ્ઠા ધોરણથી ઉપર) અને યુનિવર્સિટી શિક્ષણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. તાલિબાને મોટાભાગના ક્ષેત્રોમાં મહિલાઓને કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારી નોકરીઓ, એનજીઓ અને ખાનગી ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી લગભગ બંધ થઈ ગઈ છે. નવી દિલ્હીમાં દૂતાવાસ પરિસરમાં હજુ પણ અગાઉની અફઘાન સરકારનો જૂનો ધ્વજ પ્રદર્શિત થાય છે.
જે અબ્દુલ્લા અબ્દુલ્લા અને અશરફ ગનીની આગેવાની હેઠળની સરકારનું પ્રતીક હતું. ભારત સરકારે હજુ સુધી તાલિબાનના નેતૃત્વ હેઠળના ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાનને સત્તાવાર રીતે માન્યતા આપી નથી, જેના કારણે દૂતાવાસમાં તાલિબાન સરકારનો ધ્વજ અમાન્ય બન્યો. જોકે, મુત્તાકીની ટીમે પ્રેસ કોન્ફરન્સને સંબોધતી વખતે ટેબલ પર એક નાનો તાલિબાન ધ્વજ મૂક્યો હતો. એ નોંધવું જોઈએ કે 2021 માં બળવામાં તાલિબાને અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કરી હતી.
નવી દિલ્હીમાં દૂતાવાસ પરિસરમાંથી બહાર નીકળતી વખતે, તાલિબાન સ
રકારના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકીએ જણાવ્યું હતું કે દૂતાવાસ ઇસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાનનું છે. ભારતના તટસ્થ રાજદ્વારી વલણને પ્રતિબિંબિત કરતી મુત્તાકીની મુલાકાત દરમિયાન કોઈ અફઘાન કે ભારતીય ધ્વજ ફરકાવવામાં આવ્યા ન હતા.
મહિલા પત્રકારોને આમંત્રણ આપવાનું ભારતનું સૂચન તાલિબાને નકારી કાઢયું
વિદેશ મંત્રાલયના સુત્રો મુજબ કયા પત્રકારોને આમંત્રણ આપવામાં આવશે તે નિર્ણય મુત્તાકી સાથે રહેલા તાલિબાન અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યો હતો. ભારતીય પક્ષે, મહિલા પત્રકારોને પણ આમંત્રિતોમાં સામેલ કરવા સૂચવ્યું હતું, જે ભલામણ સ્પષ્ટપણે સ્વીકારવામાં આવી ન હતી. પત્રકાર પરિષદમાં અફઘાનિસ્તાનમાં મહીલાઓની સ્થિતિ વિશેનો પ્રશ્ન ટાળતા મુતાકીએ કહ્યું કે દરેક દેશને પોતાના રિવાજો અને કાયદાઓ છે.
અફઘાન દૂતાવાસમાં ધ્વજાનો વિવાદ
અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નવી દિલ્હીમાં અફઘાન દૂતાવાસમાં ધ્વજ ફરકાવવા અંગે વિવાદ ફાટી નીકળ્યો. તત્કાલીન રાષ્ટ્રીય સરકાર દરમિયાન નિયુક્ત દૂતાવાસના કર્મચારીઓએ મુત્તાકીની તાલિબાન ટીમને ઇસ્લામિક અમીરાતનો સફેદ ઇસ્લામિક ધ્વજ ફરકાવતા અટકાવ્યો. દલીલ બાદ, તેમણે પ્રેસ કોન્ફરન્સ રૂૂમમાંથી ધ્વજ હટાવી લીધા. તેમની દલીલ એવી હતી કે ભારત સરકારે હજુ સુધી તાલિબાન ધ્વજને માન્યતા આપી નથી, તેથી તેઓ તેને ફરકાવવા દેશે નહીં.
તમારી હિંમત કેવી રીતે થઇ: મૌઇત્રા કાળઝાળ વિપક્ષી નેતાઓએ લિંગભેદ મુદ્દે સરકારને ઘેરી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે મુત્તકીની પ્રેસ કોન્ફરન્સમાંથી મહિલા પત્રકારોને બાકાત રાખવા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી. તેમણે ડ પર પોસ્ટ કરીને કહ્યું, જ્યારે પુરુષ પત્રકારોને ખબર પડી કે તેમના મહિલા સાથીદારોને પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપવાથી અટકાવવામાં આવ્યા છે અથવા તેમને આમંત્રણ આપવામાં આવ્યું નથી, ત્યારે તેમણે વિરોધમાં વોકઆઉટ કરી દેવું જોઈતું હતું. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ આ ઘટના પર કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રી એસ. જયશંકર પર આકરા પ્રહારો કર્યા. ડ પર એક પોસ્ટમાં, મોઇત્રાએ પ્રશ્ન કર્યો કે સરકારે તાલિબાનના પ્રતિનિધિને ભારતીય ભૂમિ પર પ્રોટોકોલ સાથે મહિલા પત્રકારોને પ્રેસ કોન્ફરન્સમાંથી કેવી રીતે બાકાત રાખવાની મંજૂરી આપી. તેમણે લખ્યું, તમારી હિંમત કેવી રીતે થઈ? આપણી સરકાર તાલિબાનના વિદેશ મંત્રીને મહિલા પત્રકારોને બાકાત રાખીને બધા પુરુષો પ્રેસ કોન્ફરન્સ કેવી રીતે યોજવાની મંજૂરી આપી શકે છે? એસ. જયશંકરે આ કેવી રીતે સ્વીકાર્યું? અને આપણા સંવેદનશીલ પુરુષ પત્રકારો તે રૂૂમમાં કેમ રહ્યા? કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું છે કે તાલિબાનના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકીની ભારત મુલાકાત દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાંથી મહિલા પત્રકારોને બાકાત રાખવાનો નિર્ણય ખૂબ જ વાંધાજનક છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ બાબતે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.