આજે આર્ટિકલ 370 પર સુપ્રીમનો ચુકાદો: જમ્મુ-કાશ્મીરમાં લોખંડી બંદોબસ્ત,સોશ્યલ મીડિયા પર રહેશે બાજ નજર
કલમ 370 હટાવવાના સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટ આજે આપશે ચુકાદો, જમ્મુ કાશ્મીરમાં કડક સુરક્ષા વ્યવસ્થા
આજે કલમ 370 હટાવ્યાના ચાર વર્ષ પછી પણ જમ્મુ-કાશ્મીરને લઈને સવાલ અટક્યા નથી. ત્યારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો એટલે કે કલમ 370 હટાવવાનો નિર્ણય યોગ્ય હતો કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટ આજે 11 ડિસેમ્બરે પોતાનો ચુકાદો આપી શકે છે. મોદી સરકારે તેના બીજા કાર્યકાળમાં 5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 નાબૂદ કરી હતી.આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતની બેંચ દ્વારા કરવામાં આવી હતી. સુનાવણી 16 દિવસ સુધી ચાલી. 5 સપ્ટેમ્બરે સુનાવણી પૂરી થયા બાદ સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
SCએ 2 ઓગસ્ટથી કલમ 370 પર નિયમિત સુનાવણી શરૂ કરી.
કલમ 370 પર 23 અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે 2 ઓગસ્ટથી આ અંગે નિયમિત સુનાવણી શરૂ કરી હતી, જે 5 સપ્ટેમ્બર સુધી ચાલી હતી. હવે સુપ્રીમ કોર્ટ 96 દિવસ પછી ચુકાદો આપી શકે છે.
આજે કાશ્મીર ઘાટીમાં સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણ હાઈ એલર્ટ પર છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારની VIP મૂવમેન્ટ પર પ્રતિબંધ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે નેશનલ હાઈવે પર કોઈ વીઆઈપી મૂવમેન્ટ નહીં થાય તેવું પણ કહેવામાં આવ્યું છે. CrPC 144 હેઠળ, સાયબર પોલીસે સોશિયલ મીડિયાને લઈને એક માર્ગદર્શિકા બહાર પાડી છે અને તેના પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે જેથી કરીને કોઈપણ પ્રકારની ભડકાઉ પોસ્ટ સામે સમયસર પગલાં લઈ શકાય.
જમ્મુ-કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 હટાવવાને પડકારતી અરજીઓ પર આજે સવારે 10.30 વાગ્યે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપશે. કોર્ટ નક્કી કરશે કે કેન્દ્ર સરકાર દ્વારા 5 ઓગસ્ટ, 2019 ના રોજ સંસદમાં જમ્મુ અને કાશ્મીરની સ્વાયત્તતા છીનવીને પસાર કરવામાં આવેલા નિર્ણયની બંધારણીય માન્યતા શું છે.
કોણે કયા પક્ષની વકીલાત કરી?
સરકાર વતી- એટર્ની જનરલ આર વેંકટરામણી, સોલિસિટર જનરલ તુષાર મહેતા, વરિષ્ઠ વકીલો હરીશ સાલ્વે, રાકેશ દ્વિવેદી, વી ગીરી.
અરજદારો વતી- કપિલ સિબ્બલ, ગોપાલ સુબ્રમણ્યમ, રાજીવ ધવન, ઝફર શાહ અને દુષ્યંત દવે.