પરિણામમાં વિલંબ થતાં બસપાના કાર્યકરોનો પથ્થરમારો: 6 જવાનો ઘાયલ
સરકારી વાહનને પણ આગ ચાંપી: પોલીસનો લાઠીચાર્જ, ટિયરગેસ
બિહારના કૈમૂર જિલ્લામાં શુક્રવારે રાત્રે હિંસા ફાટી નીકળી. રામગઢના બસપા ઉમેદવારના સમર્થકોએ જિલ્લાના માર્કેટ કમિટી મોહનિયા સંકુલમાં મતગણતરી કેન્દ્રની બહાર તૈનાત કેન્દ્રીય સુરક્ષા દળના કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હોવાના અહેવાલ છે. પથ્થરમારામાં પોલીસના 6 જવાનો ઘાયલ થયા હતા. ટોળાએ એક સરકારી વાહનને પણ આગ ચાંપી દીધી અને મતગણતરી કેન્દ્રમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો.
પોલીસે અહેવાલ આપ્યો કે બસપા ઉમેદવાર સતીશકુમાર સિંહ યાદવના સમર્થકો ચૂંટણી પરિણામો જાહેર કરવામાં વિલંબથી ગુસ્સે હતા. તેમણે ચૂંટણી પંચના અધિકારીઓ પર ભાજપના ઉમેદવાર અશોકકુમાર સિંહની તરફેણમાં પરિણામોમાં છેડછાડ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. પોલીસ અધિક્ષક હરિમોહન શુક્લાએ જણાવ્યું કે રામગઢ વિધાનસભા મતવિસ્તારના પરિણામો જાહેર કરવામાં વિલંબને કારણે હિંસા ફાટી નીકળી.
આ બેઠક પર બસપા ઉમેદવાર થોડા માર્જિનથી આગળ હતા, પરંતુ અંતિમ પરિણામોમાં વિલંબ થયો. આનાથી બસપા ઉમેદવાર સતીશકુમાર સિંહ યાદવના સમર્થકો ગુસ્સે થયા, જેમણે હોબાળો મચાવ્યો.
ભીડે મતગણતરી કેન્દ્રમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. પરિસ્થિતિ બગડતી જોઈને સુરક્ષા દળોએ બળપ્રયોગ કર્યો, જે હિંસામાં ફેરવાઈ ગયો. ભીડે પથ્થરમારો કર્યો. સુરક્ષા કર્મચારીઓએ તોફાનીઓ પર ટીયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો.
બસપા ઉમેદવારને 72,689 મત મળ્યા, જ્યારે ભાજપના ઉમેદવાર અશોક કુમાર સિંહને 72,659 મતોથી સંતોષ માનવો પડ્યો. જિલ્લા જનસંપર્ક વિભાગે રાત્રે 11:11 વાગ્યે પરિણામો જાહેર કર્યા. હિંસા અંગે ચૂંટણી પંચના અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.