સોનમ વાંગચુકની NSA હેઠળ ધરપકડ, જોધપુર જેલમાં રખાયા
હિંસા માટે ઉશ્કેરણી બદલ પ્રશાસનનું આકરું પગલું
લદાખના લેહમાં હિંસાના ત્રણ દિવસ બાદ પોલીસે શુક્રવારે (26 સપ્ટેમ્બર, 2025) પર્યાવરણીય કાર્યકર્તા સોનમ વાંગચુકની ધરપકડ કરી હતી. તેમની રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને જોધપુર જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેમના પર હિંસા ભડકાવવાનો આરોપ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેહમાં ઇન્ટરનેટ સેવા તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે.
સોનમ વાંગચુકને લેહ એરપોર્ટ પર તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી ખાસ ફ્લાઇટ દ્વારા રાજસ્થાનના જોધપુર લઈ જવાયા હતા. જોધપુર પહોંચ્યા પછી તેમને કડક સુરક્ષા હેઠળ ઉચ્ચ સુરક્ષાવાળા જેલ વોર્ડમાં અને અનેક સુરક્ષા વાહનોના કાફલામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓ 24 કલાક સુરક્ષા અને સીસીટીવી દેખરેખ હેઠળ રહેશે. લેહ પોલીસના જણાવ્યા અનુસાર, બુધવારે સોનમ વાંગચુક વિરુદ્ધ પ્રદર્શનકારીઓને હિંસા માટે ઉશ્કેરવા બદલ અનેક એફઆઇઆર નોંધવામાં આવી હતી, જેના પગલે શુક્રવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી.
10 સપ્ટેમ્બરના રોજ, સોનમ વાંગચુકે છઠ્ઠી અનુસૂચિમાં પ્રદેશનો સમાવેશ, રાજ્યનો દરજ્જો અને લદાખ પ્રદેશના સંવેદનશીલ ઇકોસિસ્ટમના રક્ષણની માગણી સાથે લેહ શહેરમાં ઉપવાસ શરૂૂ કર્યા હતા. ત્યારબાદ બુધવારે (24 સપ્ટેમ્બર) શહેરમાં મોટાપાયે હિંસા ફાટી નીકળતાં તેમણે ઉપવાસ તોડ્યા હતા. હિંસામાં 4 લોકોનાં મોત થયા હતા.