For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

‘રામ રાજ્ય’ હોવાથી બજેટમાં લ્હાણી કરવાની જરૂર રહી નથી

01:42 PM Feb 02, 2024 IST | Bhumika
‘રામ રાજ્ય’ હોવાથી બજેટમાં લ્હાણી કરવાની જરૂર રહી નથી

લોકસભાની ચૂંટણીને ગણીને ત્રણેક મહિના બાકી છે ત્યારે નાણાં નિર્મલ સીતારમણે નરેન્દ્ર મોદી સરકારનું છેલ્લું બજેટ રજૂ કરી દીધું. આ બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સૌથી વધારે ધ્યાન અપાયું છે, જ્યારે ગરીબો, મહિલાઓ, ખેડૂતો અને યુવાઓ માટે પણ ઠીક ઠીક જાહેરાતો છે. અલબત્ત આશા રખાતી હતી એવી કોઈ લહાણીઓ કરાઈ નથી. નિર્મલા સીતારામન લોકસભાની ચૂંટણીમાં મધ્યમ વર્ગને આકર્ષવા માટે ઈન્કમટેક્સના સ્લેબમાં છૂટ સહિતની લહાણીઓ કરશે એવી પણ સૌની ગણતરી હતી પણ એ ગણતરી સાચી ઠરી નથી. લોકસભાની ચૂંટણી હોય એ પહેલાંનું બજેટ સંપૂર્ણ બજેટ નથી હોતું પણ વચગાળાનું બજેટ હોય છે. એવી પરંપરા છે કે જેથી નવી સરકાર આવે ત્યારે પોતાની ઈચ્છા પ્રમાણેનું બજેટ બનાવીને વહીવટ ચલાવ શકે અને યોજનાઓ જાહેર કરી શકે. મોદી સરકાર પરંપરાઓ પાળવામાં નહીં પણ તોડવામાં માને છે તેથી આ વખતનું બજેટ વચગાળાનું નહીં પણ પૂર્ણ કક્ષાના બજેટ જેવું જ હશે એવી હવા ઊભી કરાયેલી પણ એવું થયું નથી. બધી અટકળો અને અંદાજોને બાજુ પર મૂકીને નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ જ રજૂ કર્યું છે કે જેમાં ઈન્કમટેક્સના સ્લેબમાં કોઈ ફેરફાર કરાયા નથી કે મતદારોને કોઈ એવી મોટી લહાણી કરાઈ નથી. નિર્મલા લાંબાં લાંબાં બજેટ પ્રવચનો આપવા માટે જાણીતાં છે અને આ પરંપરા પણ તેમણે આ વખતે જાળવી છે.

Advertisement

મધ્યમ વર્ગને ઘરનું ઘર બનાવવા માટે પ્રોત્સાહન મળે એ માટે આવાસ યોજના સહિતની કેટલીક જાહેરાતો કરાઈ છે પણ એ જાહેરાતો નવી નથી અને તેમાં કશું નક્કર પણ નથી. ગ્રામીણ વિસ્તારમાં બે કરોડ નવાં ઘર બનાવવા માટેની યોજનામાં લોકોને સીધા વધારાના શું ફાયદા થશે એ સ્પષ્ટતા નથી તેથી આ જાહેરાત પણ એટલી આકર્ષક નથી.

મોદી સરકાર પહેલાં પણ મધ્યમ વર્ગને હોમ લોનના વ્યાજ દરમાં રૂૂપિયા 2.67 લાખની સબસિડી સહિતની યોજના ચલાવી ચૂકી છે એ જોતાં તેમાં કશું નવું નથી. વચ્ચે એ યોજના બંધ કરાયેલી પણ હવે ચૂંટણી આવી એટલે ફરી જાહેર કરાઈ પણ તેમાં લોકોનો ફાયદો જ છે તેથી તેના વિશે કોઈ ટીકાટીપ્પણી કરી શકાય તેમ નથી.

Advertisement

નિર્મલા સીતારમણે બજેટમાં કોઈ મોટી જાહેરાતો કરવાનું ટાળ્યું તેનું એક કારણ એ પણ છે કે, ભાજપે મતદારોને આકર્ષવા માટે બહુ પ્રયત્નો કરવાની જરૂૂર જ નથી. અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના પગલે સમગ્ર દેશમાં હિંદુત્વમય માહોલ છે.આ ઓછું હોય તેમ કાશીની જ્ઞાનવાપી મસ્જિદમાં હિંદુઓને પૂજા કરવાનો અધિકાર અપાયો તેના કારણે હિંદુત્વનો માહોલ વધારે મજબૂત બન્યો છે. મોદી સરકારના શાસનમાં હિંદુઓને માફક આવે એવા નિર્ણયો લેવાય છે એવી છાપ મજબૂત થતી જાય છે તેથી ભાજપની હિંદુવાદી મતબેંક પણ મજબૂત થઈ છે.

બીજું એ કે, વિપક્ષો એક નથી ને રાષ્ટ્રીય સ્તરે તો વિપક્ષો તરફથી ભાજપને કોઈ પડકાર જ નથી. જે પણ પડકાર છે એ પ્રાદેશિક પક્ષો તરફથી છે ને તેનાથી ભાજપને બહુ ફરક પડતો નથી. પશ્ચિમ બંગાળ, ઓડિશા, કેરળ. તેલંગાણા, આંધ્ર પ્રદેશ તમિલનાડુ વગેરે ગણ્યાંગાંઠ્યાં રાજ્યો એવાં છે કે જ્યાં હજુ ભાજપનો પ્રભાવ નથી. હજુ પણ પ્રાદેશિક પક્ષો હાવી છે પણ તેના કારણે સત્તાનાં સમીકરણો બદલાતાં નથી.

આ રાજ્યોમાંથી લોકસભાની ચૂંટણીમાં ભાજપને એક પણ બેઠક ના મળે તો પણ ભાજપને કોઈ ફરક ના પડે. ભાજપને હરાવવા માટે કોંગ્રેસનું મજબૂત થવું જરૂૂરી છે પણ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢનાં પરિણામોએ સાબિત કર્યું છે કે, કોંગ્રેસ ભાજપ સામે ટક્કર લઈ શકે એટલી મજબૂત નથી.

ભાજપ પાસે ઉત્તર પ્રદેશ અને બિહાર એ બે મોટા ગઢ છે કે જેના કાંગરા ખેરવવા પ્રાદેશિક પક્ષો માટે પણ શક્ય નથી. ઉત્તર પ્રદેશમાં એક સમયે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અને માયાવતીની બહુજન સમાજ પાર્ટી મજબૂત વિપક્ષો મનાતા હતા. ભાજપને ટક્કર આપવાની તાકાત તેમનામાં હતી પણ યોગી આદિત્યનાથના હિંદુત્વના એજન્ડાએ તેમને પણ પાંગળ કરી દીધા છે.

બિહારમાં આરજેડી અને જેડીયુ ભાજપને ટક્કર આપવાની સ્થિતિમાં હતાં પણ નીતિશને ખેરવીને ભાજપે એ પડકાર પણ ખતમ કરી નાખ્યો છે. યુપીની 80 અને બિહારની 40 મળીને 120 બેઠકોમાંથી ભાજપ 100 કરતાં વધારે બેઠકો લઈ જાય એવી સ્થિતિમાં છે તેથી ભાજપને આ રાજ્યોમાં પણ ચિંતા નથી. ટૂંકમાં વિપક્ષો તરફથી કોઈ પડકાર નહીં હોવાથી પણ ભાજપ મુશ્તાક છે અને બજેટમાં કશું કર્યું નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement