For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શરદ પવારનો ધી એન્ડ? ચાચા પે ભતીજા ભારી

12:31 PM Feb 08, 2024 IST | Bhumika
શરદ પવારનો ધી એન્ડ  ચાચા પે ભતીજા ભારી

મહારાષ્ટ્રમાં અંતે એનસીપી કોની તેનો ફેંસલો થઈ ગયો અને રાષ્ટ્રીય ચૂંટણી પંચે અજીત પવારને એનસીપીના સર્વેસર્વા જાહેર કરી દીધા. ચૂંટણીપંચે જાહેર કર્યું છે કે, અજિત પવારનું જૂથ જ અસલી નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) છે અને અજિત પવાર જૂથને એનસીપીનાં નામ અને ચૂંટણીચિહ્નનો ઉપયોગ કરવાનો અધિકાર છે. ચૂંટણી પંચે શરદ પવાર જૂથને નવું નામ અને ચૂંટણીચિહ્ન સાત ફેબ્રુઆરીએ ફાળવવાની જાહેરાત પણ કરી છે. ચૂંટણીપંચે રાજ્યસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શરદ પવારને તેમના નવા રાજકીય પક્ષનું નામ શું રાખવું એ માટે ત્રણ નામ સૂચવવા પણ કહ્યું છે. અજિત પવારે જુલાઈ 2023માં કાકા શરદ પવાર સામે બગાવત કરી અને એનસીપીના 40 વિધાનસભ્યો સાથે મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપ જોડાણવાળી એકનાથ શિંદે સરકારમાં જોડાયા ત્યારથી એનસીપી પર કબજા માટે વિવાદ ચાલતો હતો. શરદ પવાર સામે બળવા પછી અજિતે દાવો કર્યો હતો કે, એનસીપીમાં તેમની બહુમતી છે, તેથી પાર્ટીનાં નામ અને ચિહ્ન પર તેમનો અધિકાર છે. સામે શરદ પવાર જૂથે પોતાના જૂથને અસલી એનસીપી ગણાવીને અજીત પવાર સહિતના વિધાનસભ્યોને ગદ્દાર અને બળવાખોર ગણાવ્યા હતા. અજિત પવારે ચૂંટણીપંચમાં અરજી કરીને પોતાની પાર્ટીને અસલી એનસીપી ગણીને માન્યતા આપવા વિનંતી કરી હતી. સામે શરદ પવાર જૂથે આ દાવાને ચૂંટણીપંચમાં પડકાર્યો હતો અને પોતાને જ અસલી એનસીપી ગણાવી હતી. અજિતે 40 ધારાસભ્યના સમર્થન સાથે પોતાને એનસીપીના નવા પ્રમુખ પણ જાહેર કરી દીધા હતા. શરદ પવારે પાર્ટી છોડનારા નવ પ્રધાન સહિત 31 વિધાનસભ્યને ગેરલાયક ઠેરવવાની માગ કરી હતી. અજીત પવારને એનસીપીના સર્વેસર્વા ગણવાનો ચૂંટણી પંચનો નિર્ણય અપેક્ષિત છે અને આ નિર્ણય સાંભળીને કોઈને આશ્ર્ચર્ય થયું નથી કે આંચકો લાગ્યો નથી. વાસ્તવમાં શિવસેનામાં ઉદ્ધવ ઠાકરે સામે બગાવત કરીને ભાજપની પંગતમાં બેસી ગયેલા એકનાથ શિંદેના જૂથને રાષ્ટ્રીય ચૂંટણી પંચે અસલી શિવસેના ગણાવીને શિવસેનાનું નામ અને ચૂંટણી ચિહ્ન આપ્યું ત્યારે જ નક્કી થઈ ગયેલું કે, એનસીપીના કેસમાં પણ આવો જ ચુકાદો આવશે. અજીત પવારને જ એનસીપીનું ચૂંટણી ચિહ્ન અને પાર્ટી પણ મળશે ને એવું જ થયું છે. ચૂંટણી પંચે એનસીપીના બંધારણ વગેરેનો અભ્યાસ કરીને આ ચુકાદો આપ્યો છે એવું કહેવાય છે પણ આ કેસમાં પંચે કશાનો અભ્યાસ કરવાની જરૂૂર જ નહોતી. અજીત પવારે ભાજપના લાભાર્થે એનસીપીમાં ભંગાણ પડાવ્યું હતું. અજીત પવાર મહારાષ્ટ્રમાં શિંદે સરકારમાં જોડાયા પછી તેમને લીલા તોરણે પોંખીને ગઠબંધન સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન પણ બનાવવામાં આવ્યા હતા તેથી આખો ખેલ ભાજપનો હતો એ દીવા જેવી ચોખ્ખી વાત હતી ને અત્યારે ભાજપનો સૂરજ સોળે કળાએ તપે છે તેથી રાષ્ટ્રીય ચૂંટણી પંચ અજીત પવારની વિરુદ્ધ ચુકાદો આપે એ સવાલ જ પેદા થતો નહોતો.

Advertisement

ચૂંટણી પંચ અજીત પવારની વિરુદ્ધ ચુકાદો આપે તો અજીત પવારના સમર્થક વિધાનસભ્યો ગેરલાયક ઠરે ને એકનાથ શિંદેની સરકાર ગબડે નહીં પણ ભાજપની આબરૂૂના ધજાગરા થઈ જાય તેથી ચૂંટણી પંચ શરદ પવારની તરફેણ કરે એવી એક ટકો પણ શક્યતા નહોતી. ભારતમાં ચૂંટણી પંચ સ્વાયત્ત ગણાય છે પણ ચૂંટણી પંચમાં બેઠેલા માણસોમાં પણ સ્વાયત્તતાનો મિજાજ હોવો જોઈએ કે નહીં?

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement