કુણબી જાતિનો દરજજો આપી મરાઠાઓને અનામત: ફડણવીસ સામે રાજકીય-કાનૂની પડકાર બાકી
મુંબઈમાં મરાઠા અનામત માટેનું આંદોલન હાલ પૂરતું સમેટાઈ જતાં મુંબઈગરાઓને ભારે રાહત થઈ છે. મરાઠાઓ માટે અનામતના આંદોલનના મશાલચી મનોજ જરાંગે આઝાદ મેદાનમાં ડેરા નાખીને બેઠેલા પણ હજારોની સંખ્યામાં ઊમટી પડેલા આંદોલનકારીઓ મુંબઈના મોટા ભાગના વિસ્તારોમાં ફેલાઈ ગયેલા તેથી મુંબઈનું જનજીવન ખોરવાઈ ગયેલું. લોકોને પડી રહેલી હાલાકીઓથી અલિપ્ત મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકાર અને આંદોલનકારીઓ રાજકીય દાવપેચમાં વ્યસ્ત હતા ને તેમને લોકોની કંઈ પડી નહોતી.
મનોજ જરાંગે મરાઠા સમુદાયને કુણબી જ્ઞાતિમાં સમાવીને અન્ય પછાત વર્ગ (OBC) હેઠળ હાઈ કોર્ટે લાલ આંખ ના કરી હોત તો આ ખેંચતાણ ચાલુ જ રહી હોત પણ હાઈ કોર્ટે બુધવાર સવાર સુધીમાં મનોજ જરાંગે તથા આંદોલનકારીઓને આઝાદ મેદાન ખાલી કરવાની કડક ચેતવણી આપી પછી સરકારે નમતું જોખવું પડ્યું. મનોજ જરાંગે હાઈ કોર્ટના આદેશને સ્વીકારીને આઝાદ મેદાન છોડી જાય પણ આંદોલનકારીઓ મુંબઈ ના છોડે ને તોફાને ચડે તો સરકારની ઈજ્જતનો ફાલુદો થઈ જાય એટલે સરકાર છેવટે હૈદરાબાદ ગેઝેટને આધાર બનાવીને જાહેરનામું બહાર પાડીને મરાઠા સમુદાયના લોકોને ‘કુણબી’ જાતિનો દરજ્જો આપવાનું એલાન કરી દીધું.
દેવેન્દ્ર ફડણવીસ પહેલાં મરાઠા સમુદાયને ઓબીસી કેટેગરીમાં સમાવવા પણ તૈયાર નહોતા. તેમની દલીલ હતી કે, મહારાષ્ટ્રમાં અત્યારે જ ઓબીસી કેટેગરીમાં 350 કરતાં વધારે જ્ઞાતિઓ છે. હવે મરાઠા સમુદાયો ઓબીસી તરીકે સમાવેશ કરાય તો આ 350 જ્ઞાતિઓને અન્યાય થશે એટલે મરાઠાઓને ઓબીસી હેઠળ અનમાત આપવાનો સવાલ જ પેદા થતો નથી. આ વાત કર્યાના બે દિવસમાં તો ફડણવીસ ગુલાંટ લગાવીને જીઆર બહાર પાડવાનું એલાન પણ કરી દીધું. જો કે સુપ્રીમ કોર્ટમાં આ સામાન્ય ઠરાવ (જીઆર) ટકી શકે તેમ નથી એ જોતાં તેની કિંમત ફડણવીસ સરકારે મરાઠા આંદોલનકારીઓને પકડાવેલી વધુ એક લોલિપોપથી વધારે કંઈ નથી.
ફડણવીસ સરકારની લોલિપોપને સુપ્રીમ કોર્ટ બંધારણીય. જોગવાઈને આધારે કચરાટોપલીમાં નાખી શકે છે કેમ કે મરાઠા સમુદાયનો ઓબીસીમાં સમાવેશ કરવા માટે જરૂૂરી પ્રક્રિયાને અનુસરવામાં નથી આવી. ભારતમાં રાજ્યોને ઓબીસીની યાદીમાં ફેરફારનો કે કોઈના સમાવેશનો અધિકાર જ નથી ત્યારે ફડણવીસે બંધારણની ઉપરવટ જઈને મરાઠાઓને ઓબીસી ગણીને અનામત આપવાનું નક્કી કરી નાખ્યું છે.