‘હાથ બદલેગા હાલાત’ નારા સાથે કોંગ્રેસ ગઠબંધનની કાલે મુંબઇમાં રેલી
કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે નવો નારો આપ્યો છે. દેશમાં લોકસભા 2024ની ચૂંટણીની જાહેરાત થયા પહેલા કોંગ્રેસે હાથ બદલેગા હાલાતનો નારો આપ્યો છે. રાહુલ ગાંધીએ ભાજપ પર નફરતની રાજનીતિ કરવાનો આરોપ પણ લગાવ્યો છે અને હવે પાર્ટીએ ચૂંટણી પહેલા દેશની સ્થિતિ બદલવાનો નારો આપ્યો છે. કોંગ્રેસ સતત કેન્દ્રમાં શાસિત મોદી સરકાર પર આરોપ લગાવી રહી છે કે કેન્દ્ર સરકારના શાસનમાં દેશ ઘણા ક્ષેત્રોમાં પાછળ રહ્યો છે. ધર્મ અને જાતિના નામે રાજકારણ રમાઈ રહ્યું છે.
હાલમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા મહારાષ્ટ્ર પહોંચી છે. ગઇકાલે મહારાષ્ટ્રના થાણેમાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે મુંબઈ પહોંચી હતી. રવિવારે મુંબઈમાં એક મોટી રેલીને સંબોધિત કરશે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મુંબઈમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની પૂર્ણાહુતિમાં વિવિધ વિપક્ષી નેતાઓ જોડાશે. જેમાં સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, આરજેડીના તેજસ્વી યાદવ, નેશનલ કોન્ફરન્સના ફારૂૂક અબ્દુલ્લા, ડીએમકેના નેતા અને તમિલનાડુના સીએમ સ્ટાલિન, શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે, એનસી શરદચંદ્ર પાર્ટીના નેતા શરદ પવાર, ઝારખંડના સીએમ ચંપાઈ સોરેન અને પૂર્વ સીએમ હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન અને ભાકપા નેતા દીપાંકર ભટ્ટાચાર્યે કોંગ્રેસની આ રેલીમાં જોડવા માટે હા પાડી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, પશ્ચિમ બંગાળના સીએમ અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ કોંગ્રેસના આમંત્રણનો જવાબ આપ્યો નથી. આ સિવાય સીપીઆઈના જનરલ સેક્રેટરી ડી રાજાએ પણ આમંત્રણનો જવાબ આપ્યો નથી, મહેબૂબા મુફ્તિએ પણ કોઈ જવાબ આપ્યો નથી. ઈઙઈં(ખ)ના મહાસચિવ સીતારામ યેચુરીએ પણ આમંત્રણનો જવાબ આપ્યો નથી પરંતુ કોંગ્રેસને ન્યાય યાત્રામાં જોડાવાની આશા છે. કેજરીવાલે પ્રતિનિધિ તરીકે પોતાની પાર્ટીમાંથી નેતાને મોકલવાની મંજૂરી આપી છે.