ઉદયનિધિ પછી રાજા: તમિલ ભાષા, સંસ્કૃતિના નામે રાજકીય ફાયદાની ગેમ
તામિલનાડુની સત્તાધારી પાર્ટી ડીએમકેના સાંસદ એ. રાજા ફરી પાછા વરતાયા છે. રાજાએ ભારતને એક દેશ તરીકે સ્વીકારવાનો ઇનકાર કરીને દાવો કર્યો કે, ભારત ક્યારેય એક દેશ નહોતો કેમ કે એક ભાષા, એક સંસ્કૃતિ અને એક પરંપરાથી કોઈ પણ દેશ બને છે પણ ભારતમાં એક ભાષા, એક સંસ્કૃતિ અને એક પરંપરા નથી. ભારતમાં ઘણી બધી પરંપરાઓ અને સંસ્કૃતિઓ છે તેથી વાસ્તવમાં ભારત એક ઉપખંડ છે. રાજાના મતે, કેરળ, ઓડિશા, તામિલનાડુ વગેરે દેશો છે કે જ્યાં એક ભાષા અને એક સંસ્કૃતિ છે. આ બધા દેશો મળીને ભારત બનાવે છે તેથી ભારત એક દેશ નથી પણ એક ઉપખંડ છે.
રાજાએ હિંદુ ધર્મ વિશે પણ કેટલીક વાતો કરી છે. રાજાનું કહેવું છે કે, આપણે બધા રામના દુશ્મન છીએ અને મને રામાયણ અને ભગવાન રામમાં વિશ્ર્વાસ નથી.
ભગવાન હનુમાનની સરખામણી વાનર સાથે કરીને રાજાએ નજય શ્રીરામથના નારાને પણ અસ્વીકૃત ગણાવ્યા છે. એ. રાજા આ પહેલાં પણ આ પ્રકારના લવારા કરી ચૂક્યા છે. ગયા વર્ષે રાજાએ ચેન્નઈમાં એક કાર્યક્રમમાં સનાતન ધર્મની તુલના એચઆઈવી અને રક્તપિત્ત સાથે કરી હતી.તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિનના પુત્ર અને પ્રધાન ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની તુલના ડેન્ગ્યૂ, મલેરિયા અને કોરોના સાથે કરી હતી. ઉદયનિધિએ સનાતન ધર્મ વિશે કહ્યું હતું કે મચ્છર, ડેન્ગ્યુ, તાવ, મલેરિયા અને કોરોના એવી કેટલીક બાબતો છે જેનો માત્ર વિરોધ ના કરવો જોઈએ પણ તેને ખતમ કરવો જોઈએ. સનાતન ધર્મ જ્ઞાતિવાદ અને ભેદભાવ પર આધારિત છે તેથી તેને ખતમ કરી દેવો જોઈએ. ઉદયનિધિ અને રાજાના પગલે ડીએમકેના બીજા નેતાઓએ પણ આ પ્રકારની વાતો કરી છે. ડીએમકેના નેતા હિંદુત્વ કે સનાતન ધર્મ વિરુદ્ધ લવારા કરી રહ્યા છે તેનું કારણ તેમનો પોતાનો ગરાસ લૂંટાઈ જવાનો ડર છે. ડીએમકે સહિતના તમિલનાડુના મોટા ભાગના પક્ષોએ દ્રવિડીયન સંસ્કૃતિના નામે હિંદુ અને હિંદી વિરોધી માનસિકતાને પ્રબળ બનાવી છે. આ માનસિકતાના જોરે તેમણે સત્તા ભોગવી છે અને આ સત્તાને સાચવવા એ લોકો આ માનસિકતાને વધારે ને વધારે પ્રબળ બનાવ્યા કરે છે. આ એક વિષચક્ર છે કે જેમાં તમિલનાડુની પ્રજા ફસાયેલી છે.