તૂટતી કોંગ્રેસથી રાહુલ ગાંધી ચિંતિત, ન્યાયયાત્રામાં ધારાસભ્યોની બેઠક યોજી
- ચૂંટણીના કામે લાગી જવા આપેલી સૂચના, સાથે રહેનારાઓની પીઠ થપથપાવી
ગુજરાતમાં લોકસભાની ચુંટણી પૂર્વે કોંગ્રેસના નેતાઓ ભાજપ ભણી પ્રયાણ કરી રહ્યા છે તેવા સમયે ગુજરાતમાં ન્યાયયાત્રા લઇને આવેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના કાર્યકરોને ચુંટણીના કામે લાગી જવા હાકલ કરી હતી. સાથોસાથ હાલની સ્થિતિમાં કોંગ્રેસ સાથે જોડાઇ રહેલા કોંગ્રેસના પુર્વ અને વર્તમાન ધારાસભ્યો તથા કાર્યકરોની પીઠ થપથપાવી હતી.રાહુલ ગાંધીએ છોટાઉદેપુરના બોડેલીથી આજે ત્રીજા દિવસે ન્યાય યાત્રાનો પ્રારંભ થયો હતો. ન્યાય યાત્રાના ત્રીજા દિવસે રાહુલ ગાંધીએ કોંગ્રેસના ધારાસભ્યો સાથે બોડેલીમાં બેઠક કરી હતી અને કોંગ્રેસ છોડી રહેલા ધારાસભ્યો અને કાર્યકરો અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
બોડેલીમાં કોંગ્રેસના ધારાસભ્યો સાથે રાહુલ ગાંધીએ બેઠક દરમિયાન તેમણે કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઓછી થવા મામલે ચિંતા વ્યક્ત કરી હતી. ભાજપ વિરોધી મત એએપીમાં જતા ધારાસભ્યોની સંખ્યા ઘટી હોવાનું પણ જણાવ્યું હતુ. અઅઙની ગેરંટીની સામે કોંગ્રેસની ગેરંટી કામ ના કરી શકી હોવા અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.બેઠકમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ નેતાઓ લોકોના પ્રશ્નોને વાચા આપવામાં ઊણા ઉતર્યા હોવાની પણ ટકોર કરવામાં આવી. લોકસભા ચૂંટણીમાં કામે લાગી જવા રાહુલ ગાંધીએ ધારાસભ્યોને સૂચના આપી છે. કપરી સ્થિતિમાં પણ પક્ષ સાથે જોડાઈ રહી પ્રજાદ્રોહ ન કરવા બદલ ધારાસભ્યોને અભિનંદન પણ પાઠવ્યા હતા.