મંત્રીઓ પાસેથી 100 દિવસનો એક્શન પ્લાન, પાંચ વર્ષનો રોડ-મેપ માગતા વડાપ્રધાન
- ફરી ખુરશી મળશે કે નહીં તે વિચાર્યા વગર આઇડિયા અને એકશન પ્લાન રજૂ કરવા તાકીદ
પીએમ નરેન્દ્ર મોદીએ કેબિનેટ બેઠકમાં મંત્રીઓ પાસેથી આગામી 5 વર્ષનો એક્શન પ્લાન માંગ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીએ આઈડિયા, એક્શન પ્લાન અને રોડમેપ માંગ્યો છે. આ ઉપરાંત મંત્રીઓ પાસેથી 100 દિવસનો પ્લાન પણ માંગવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આગામી મહિને લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની છે. આ પહેલા પણ પીએમ મોદી એક્શનમાં આવી ચુક્યા છે.
ચૂંટણીમાં જતા પહેલા સત્તાધારી ભારતીય જનતા પાર્ટી દરેક મામલે વિપક્ષ પર 20 રાખવાની રણનીતિ અપનાવી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે પીએમ મોદીએ કેબિનેટ બેઠકમાં મંત્રીઓ પાસેથી તેમની યોજના માંગી છે. નોંધનીય છે કે પીએમ મોદી યોજનાઓને લાગુ કરવાને લઈને ખૂબ જ સાવચેત છે. તેઓ તેમના ભાષણોમાં વારંવાર કહે છે કે જો મેં કોઈ કામનો શિલાન્યાસ કર્યો હોય તો તેનું ઉદ્ઘાટન પણ હું જ કરીશ.
તમામ મંત્રીઓ તેમનો એક્શન પ્લાન કેબિનેટ સચિવાલયને મોકલશે. પીએમ મોદીએ બેઠકમાં તમામ મંત્રીઓને તેમની યોજના વહેલી તકે મોકલવાની સ્પષ્ટ સૂચના આપી છે. સૂત્રોએ જણાવ્યું કે કયા મંત્રીને રિપીટ કરવામાં આવશે અને કોને નહીં તે અંગે વિચાર્યા વિના તમારો એક્શન પ્લાન કેબિનેટ સચિવાલયને મોકલો.
ઉલ્લેખનીય છે કે લોકસભાની ચુંટણી આડે ત્રણ મહીનાથી પણ ઓછો સમય રહ્યો હોય, વડાપ્રધાન કોઇ વર્ગ નારાજ રહે તેવું ઇચ્છતા નથી. આથી જુદા જુદા આર્થિક- સામાજીક સમુહની પડતર માગણીઓની સમીક્ષા થઇ રહી છે. એ ઉપરાંત અગત્યના પ્રોજેકટો પણ પુરા કરવા પર ધ્યાન અપાઇ રહ્યું છે. જેથી ચુંટણીમાં તેનો ફાયદો મળે. આ ઉપરાંત 100 દિવસની કાર્યયોજના મંત્રીઓ પાસેથી માગી લોકો સમક્ષ રજુ કરાશે. જેથી ભવિષ્યનો રોડમેપ લોકો સમક્ષ મુકી શકાય. આજ કડીમાં બુધવારે કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેબિનેટે શેરડીની ખરીદીના ભાવમાં આઠ ટકાના વધારાને મંજૂરી આપી છે. કેબિનેટે શેરડીની ખરીદીની કિંમત 315 રૂૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધારીને 340 રૂૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની મંજૂરી આપી છે. આ રીતે શેરડીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 25 રૂૂપિયાનો વધારો થયો છે.
કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે મોદી સરકારે છેલ્લા 10 વર્ષથી ખેડૂતોના કલ્યાણ માટે કામ કર્યું છે. 2014 પહેલા ખેડૂતોને ખાતર મેળવવા માટે પણ રસ્તા પર ઉતરવું પડતું હતું. તે સમયે શેરડીના ભાવ વ્યાજબી ન હતા. બે વર્ષ રાહ જોવી પડી. પરંતુ મોદી સરકારે આ દિશામાં ઉત્તમ કામ કર્યું છે. ઠાકુરે કહ્યું કે શેરડીના ખેડૂતોને 2019-20માં 75,854 કરોડ રૂૂપિયા મળ્યા છે. 2020-21માં 93,011 કરોડ રૂૂપિયા મળ્યા છે. 2021-22માં ખેડૂતોને 1.28 લાખ કરોડ રૂૂપિયા મળ્યા છે. તે જ સમયે, 2022-23માં 1.95 લાખ કરોડ રૂૂપિયા પ્રાપ્ત થયા છે. આ પૈસા સીધા તેના ખાતામાં મોકલવામાં આવ્યા હતા. અમે ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રતિબદ્ધ છીએ.