હદના વિવાદમાં પોલીસકર્મીઓએ લાશ બીજા વિસ્તારમાં ફેંકી દીધી
ઉત્તર પ્રદેશના મેરઠમાં પોલીસની સંવેદનહીનતાનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે સમગ્ર પોલીસ બેડાને શર્મસાર કરી દીધું છે. કાયદાકીય કાર્યવાહી અને તપાસની જવાબદારીમાંથી બચવા માટે, નૌચંડી પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ રસ્તા પર મળેલી એક અજાણ્યા યુવકની લાશને તપાસવાને બદલે તેને ઈ-રિક્ષામાં નાખીને બીજા પોલીસ સ્ટેશનની હદમાં ફેંકી દીધી હતી.
જોકે, તેમનું આ કારસ્તાન નજીકની દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસની પોલ ખુલી ગઈ છે. આ ઘટના બાદ એસએસપીએ તાત્કાલિક અસરથી જવાબદાર કર્મચારીઓ સામે કડક પગલાં લીધા છે.
ઘટનાની વિગતો મુજબ, ગુરુવારે મોડી રાત્રે આશરે 1:40 વાગ્યે નૌચંડી પોલીસ સ્ટેશન વિસ્તારના એલ બ્લોકમાં રસ્તા કિનારે એક અજાણ્યા યુવકનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળી હતી. નિયમ મુજબ પોલીસે ત્યાં પંચનામું કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની હતી. પરંતુ, ફરજ પર હાજર કોન્સ્ટેબલ રાજેશ અને હોમગાર્ડ રોહતાશે કામથી બચવા માટે શોર્ટકટ અપનાવ્યો. આ બંને પોલીસકર્મીઓએ મૃતદેહને એક ઈ-રિક્ષામાં લાદ્યો અને ત્યાંથી આશરે 500 મીટર દૂર લોહિયા નગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી એક સ્ટેશનરીની દુકાન બહાર ફેંકીને ચાલતા થયા.
સવારે જ્યારે દુકાનદાર રોનિત બૈંસલા પોતાની દુકાન ખોલવા પહોંચ્યા, ત્યારે દુકાન બહાર લાશ જોઈને ગભરાઈ ગયા હતા. તેમણે તાત્કાલિક લોહિયા નગર પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ જ્યારે દુકાનદારે પોતાના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારે સૌના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ફૂટેજમાં સ્પષ્ટ દેખાતું હતું કે વર્દીધારી પોલીસકર્મીઓ જ રાતના અંધારામાં લાશને ત્યાં બિનવારસી હાલતમાં ફેંકી રહ્યા હતા.
આ ઘટનામાં સૌથી આઘાતજનક બાબત એ હતી કે માનવતા દાખવવાને બદલે બંને પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જો આખો દિવસ ’હદ’ ના વિવાદમાં ઉલઝેલા રહ્યા. કોઈએ પણ ઉચ્ચ અધિકારીઓને જાણ કરવાની તસ્દી લીધી નહીં કે પંચનામું કર્યું નહીં. આખરે દુકાનદારે કંટાળીને સીધા જ એસએસપી ડો. વિપિન તાડાને જાણ કરી, ત્યારે જઈને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું.