કબૂતરને ચણ નાખવાનો વિવાદ: BMCની ચૂંટણી લડવા જૈનમુનિ શાંતિદૂત પાર્ટી રચશે
મુબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા કબૂતરને દાણા નાખવા અને કબૂતર ખાનાઓ બંધ કરવાના નિર્ણયને પગલે મુંબઈમાં ફાટી નીકળેલા વિરોધ પ્રદર્શને હવે રાજકીય વળાંક લીધો છે. જૈન મુનિ નીલેશચંદ્ર વિજયે જાહેરાત કરી છે કે તેઓ આગામી BMC ચૂંટણી લડવા માટે શાંતિદૂત જનકલ્યાણ પાર્ટી નામનો એક નવો રાજકીય પક્ષ બનાવી રહ્યા છે. આ પક્ષ પશુઓ અને પક્ષીઓના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેનું ચૂંટણી ચિહ્ન કબૂતર હશે.આ જાહેરાત દાદરના યોગી હોલ ખાતે મુંબઈમાં કબૂતર ખાનાઓ બંધ થવાને કારણે કથિત રીતે મૃત્યુ પામેલા કબૂતરો માટે આયોજિત શાંતિ બેઠક બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવી હતી. જૈન સમુદાયે દાવો કર્યો છે કે કબૂતર ખાના બંધ થવાથી હજારો કબૂતરો ભૂખ અને તરસથી મૃત્યુ પામ્યા છે.
મુનિ નીલેશચંદ્ર વિજયે તેમના સંબોધનમાં ભૂતકાળની સરકારો સાથે સરખામણી કરતા કહ્યું હતું કે, જેમ એક સમયે ડુંગળીને કારણે કોંગ્રેસ સરકાર પડી હતી, ચિકનને કારણે શિવસેના પડી હતી, અને હવે આ સરકાર કબૂતરોને કારણે પડી શકે છે.
કબૂતર ખાનાના વિવાદ ઉપરાંત મુનિ વિજયે દેશમાં દારૂૂબંધીની પણ માંગ કરી હતી. તેમણે ટિપ્પણી કરી હતી કે, જિતના એક કબૂતર સે નહીં મરે, જિતના પ્રાણી સે નહીં મરે, ઉતના ભારત કે અંદર નશા સે મરે. કબુતર વિવાદ ત્યારે શરૂ થયો જયારે જુલાઈ 2025 માં, રાજ્ય સરકારે BMC ને શહેરના તમામ 51 કબૂતર ખાના સ્થાનો બંધ કરવાનો આદેશ આપ્યો હતો, જેમાં કબૂતરોના મળ અને શ્વસન સંબંધી બીમારીઓ જેવા સ્વાસ્થ્ય જોખમોનું કારણ આપવામાં આવ્યું હતું.
13 ઓગસ્ટના રોજ, દાદર કબૂતર ખાના પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને જૈન મંદિરના દરવાજા સવારથી બંધ રાખવામાં આવ્યા હતા. આ મરાઠી એકીકરણ સમિતિ દ્વારા મોટા વિરોધ પ્રદર્શનના આહ્વાનને કારણે કરવામાં આવ્યું હતું.
આ સમિતિએ કબૂતરને દાણા નાખવા પરના પ્રતિબંધના અમલ અને કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરનારા જૈન સમુદાયના વિરોધકર્તાઓ સામે પગલાં લેવાની માંગ કરી હતી.