ચાર્ટર્ડ એકાઉન્ટના વિદ્યાર્થીઓના પરિણામમાં હવે પાસ કે નાપાસ નહીં લખાય
માર્કશીટમાં સકસેસફુલ અનસકસેસફુલ લખેલું આવશે: ICAIનો નિર્ણય
ધી ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટડે એકાઉન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સીએના વિદ્યાર્થીની માર્કશીટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એથી પરીણામ શીટમાં પાસ કે નાપાસ લખેલુ નહીં આવે પરંતુ સક્સેસફુલ અને અનસેસફુલ લખેલુ આવશે. વિદ્યાર્થીઓની કારર્કિદીને ધ્યાનમાં રાખી સંસ્થા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં જાહેર કરાયા છે તે પરીણામમાં જ અમલવાહી કરી દેવામાં આવી છે.
આ અંગે નિષ્ણાતોએ કહ્યું કે, પરિણામ ખરાબ આવવા પર વિદ્યાર્થીઓ ખોટું પગલું ભરી લે છે, વિદ્યાર્થીના મગજ ઉપર ફેલ શબ્દ નકારાત્મક અસર કરે છે એટલા માટે આ બદલાવ કરાયો છે. આ નવી પહેલથી આઈસીએઆઈએ શિક્ષા પ્રણાલીને નવી દિશા આપવાનો પ્રયત્ન કર્યો છે. આ નિર્ણય અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ પ્રેરણાદાયી બની શકે છે.
આઈસીએઆઈ પોતાનું ચેટ જીપીટી પણ તૈયાર કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે જેનાથી પ્રોફેશનલની સાથે સાથે વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે. જીપીટી અને એઆઈનો કોમ્બો તૈયાર કરીને એપ્લિકેશન બનાવવામાં આવી રહી છે જેમાં વિદ્યાર્થીઓ જૂના પેપર પણ જોઈ શકશે. એવી જ રીતે પરીક્ષાની પ્રેક્ટિસ કરવા માટે પોતાની ઈચ્છા અનુસાર પેપર ડિઝાઈન પણ કરી શકશે.
આઈસીએઆઈ દ્વારા આ વર્ષે વિદ્યાર્થીઓની માર્કશીટમાં બદલાવ કર્યો છે. અગાઉ માર્કશીટમાં પાસ કે ફેલ લખાયેલું આવતું હતું જેના બદલે હવે સક્સેસફૂલ કે અનસક્સેસફૂલ લખાયેલું આવે છે. તાજેતરમાં જાહેર થયેલા ઇન્ટરમીડિએટ સહિતના પરિણામ નવી સિસ્ટમ પ્રમાણે જાહેર થયા છે. વિદ્યાર્થીઓની માર્કશીટમાં સક્સેસફૂલ અને અનસક્સેસફૂલ લખેલું આવ્યું છે.
સીએ ફાઉન્ડેશન અને ઈન્ટરની આઇસીએઆઇ પરીક્ષા વર્ષમાં ત્રણ વખત આયોજિત કરશે. અત્યાર સુધી સીએ ફાઉન્ડેશન અને સીએ ઈન્ટરમીડિયેટની પરીક્ષા વર્ષમાં બે વખત યોજાતી હતી પણ હવે ઉમેદવારો પાસે ત્રણ તક હશે. હાલની સિસ્ટમ પ્રમાણે સીએ કોર્સમાં પરીક્ષા મે અને નવેમ્બર એમ વર્ષમાં બે વખત લેવામાં આવતી હતી. પરંતુ હવે તે ત્રણ વખત લેવામાં આવશે. આઇસીએઆઇએ ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિએટ પ્રોગ્રામની સપ્ટેમ્બરની પરીક્ષાનું શિડ્યુલ જાહેર કર્યું છે. જેમાં ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિએટ પ્રોગ્રામમાં 12થી 23 સપ્ટેમ્બર સુધી પરીક્ષા ચાલશે. ફાઉન્ડેશન પ્રોગ્રામની પરીક્ષાનું રજિસ્ટ્રેશન 28 જુલાઇથી 10 ઓગસ્ટ સુધી ચાલશે.