દેશમાં ફરી એક વાર કોરોનાએ વધારી ચિંતા!!! એક્ટિવ કેસ 4000ને વટાવી ગયા, મહારાષ્ટ્રના થાણેમાં JN.1ના પાંચ નવા કેસ
ભારતમાં કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની સંખ્યમાં ચિંતાજનક વધારો થિયા રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં સક્રિય કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 4054 પર પહોંચી ગઈ છે. એક દિવસ પહેલા 3742 સક્રિય કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં માત્ર એક દર્દીનું મોત થયું છે. કોવિડ-19ના નવા પેટા વેરિઅન્ટ – JN.1 –ના પાંચ કેસ મહારાષ્ટ્રના થાણેમાં નોંધાયા છે. કેરળમાં સૌથી વધુ 128 કેસ મળી આવ્યા છે, રાજ્યમાં સક્રિય કેસ 3000 પર પહોંચી ગયા છે. તે જ સમયે, મહારાષ્ટ્રમાં કોરોનાના 50 કેસ નોંધાયા છે.
આશ્ચર્યજનક બાબત એ છે કે મહારાષ્ટ્રમાં દર 5 નવા કેસમાંથી લગભગ એક કેસ નવા પ્રકાર JN.1નો છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે શું મહારાષ્ટ્ર કોવિડના નવા પ્રકારનું સુપર સ્પ્રેડર બની રહ્યું છે? JN.1 વેરિઅન્ટના વધતા જતા કેસોને જોતા મહારાષ્ટ્ર સરકાર એલર્ટ પર આવી ગઈ છે. સરકારે આરોગ્ય અધિકારીઓને સરકારી હોસ્પિટલોમાં વેન્ટિલેટર, ઓક્સિજન સિલિન્ડર અને અન્ય આવશ્યક સાધનોની ખાતરી કરવા નિર્દેશ આપ્યો છે. બીજી તરફ WHOએ પણ કોરોના સંક્રમિત દેશોને સર્વેલન્સ વધારવાની સલાહ આપી છે.
અગાઉ 23 ડિસેમ્બરે ભારતમાં કોરોનાના 752 નવા કેસ નોંધાયા હતા. 21 મે પછી દેશમાં આ સૌથી વધુ કેસ છે. ભારતમાં વધી રહેલા કોરોના કેસ પાછળ JN.1 વેરિઅન્ટને મુખ્ય કારણ માનવામાં આવે છે. જેએન.1 વેરિઅન્ટનો પ્રથમ કેસ કેરળમાં જોવા મળ્યો હતો. કેન્દ્ર સરકારે રાજ્યોને વાયરસના પ્રકારો પર નજર રાખવા માટે જીનોમ સિક્વન્સિંગ માટે તમામ સેમ્પલ મોકલવાનો નિર્દેશ આપ્યો છે.
કોરોના પ્રોટોકોલનું પાલન કરવા અપીલ
કેન્દ્ર સરકારે કહ્યું છે કે કોવિડ -19 કેસોમાં વર્તમાન વધારો ચિંતાજનક નથી. લોકોએ ગભરાવાની જરૂર નથી. જો કે, સરકારે લોકોને અપીલ કરી છે કે તેઓ કોરોના પ્રોટોકોલનું પાલન કરે, અન્ય રોગોથી પીડાતા હોય તો ફેસ માસ્ક પહેરે અને ભીડમાં જવાનું ટાળે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતમાં JN.1 વેરિઅન્ટનું કોઈ ક્લસ્ટર જોવા મળ્યું નથી. તમામ કેસોમાં ચેપના હળવા લક્ષણો જોવા મળ્યા હતા. દર્દીઓ પણ કોઈપણ પ્રકારની તકલીફ વિના સ્વસ્થ થઈ રહ્યા છે.