કોંગ્રેસને મત આપવાથી ફાયદો નથી, તેના વિજેતા ઉમેદવારોને ભાજપમાં લાવીશ: સરમા
- આજે દરેક જણ ભાજપમાં જોડાવા થનગને છે: આસામના મુખ્યમંત્રી
હવે લોકસભાની ચૂંટણીને આડે થોડો સમય બાકી છે. આવી સ્થિતિમાં દેશમાં રાજકીય વાતાવરણ ચરમસીમાએ પહોંચી ગયું છે. આ દરમિયાન આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ફરી એકવાર કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે.તેમણે કહ્યું છે કે કોંગ્રેસને મત આપવાનો કોઈ ફાયદો નથી કારણ કે જો કોઈ જીતશે તો પણ તે ભાજપમાં જોડાઈ જશે. કોંગ્રેસના લોકો કોંગ્રેસમાં રહેશે કે કેમ તેની શંકા છે. કારણ કે દરેક ભાજપમાં જોડાવા માંગે છે.
કરીમગંજ જિલ્લામાં પાર્ટી કાર્યકર્તાઓની બેઠકને સંબોધતા તેમણે કહ્યું કે કોંગ્રેસનો કોઈ ઉમેદવાર પાર્ટીમાં રહેવા માંગતો નથી, બધાએ ભાજપમાં જોડાવું પડશે. એક સિવાય કોંગ્રેસમાંથી જીતેલા તમામ ઉમેદવારોને હું ભાજપમાં લાવીશ.તેમણે કહ્યું કે આ વખતે કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મત આપશે. અમે લઘુમતીઓના વિકાસ માટે કામ કરી રહ્યા છીએ. આજે લઘુમતી યુવાનોને લાંચ આપ્યા વગર કામ મળી રહ્યું છે.
લઘુમતીઓ પણ અમને મત આપશે. આ વખતે ભાજપ કરીમગંજ અને નાગાંવ બેઠકો પણ જીતશે.ગયા મહિને આસામમાં કોંગ્રેસના બે ધારાસભ્યોએ ભાજપની આગેવાની હેઠળની હિમંતા સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. તે સમયે આસામના મંત્રી અને હિમંતના સહયોગી પીયૂષ હઝારિકાએ સરકારને ટેકો આપતા કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ચાર ગણાવી હતી.