બિહાર ચૂંટણી પહેલા નીતિશની ખેરાત, 125 યુનિટ વીજળી મફત
ચૂંટણી વર્ષમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વીજ ગ્રાહકોને મોટી રાહત આપી છે. લોકોને આ મહિનાથી એટલે કે જૂલાઈ 2025ના બિલથી મફત વીજળી મળવાની છે. નીતિ શ કુમારે જાહેરાત કરી છે કે હવે 125 યુનિટ સુધીની વીજળી માટે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં.
વાસ્તવમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમના સત્તાવાર એકસ હેન્ડલ પરથી પોસ્ટ કરીને આ માહિતી આપી છે. તેમણે લખ્યું હતું કે અમે શરૂૂઆતથી જ દરેકને સસ્તા દરે વીજળી પૂરી પાડી રહ્યા છીએ. હવે અમે નિર્ણય લીધો છે કે 1 ઓગસ્ટ, 2025થી એટલે કે જૂલાઈના બિલથી રાજ્યના તમામ વીજ ગ્રાહકોને 125 યુનિટ સુધીની વીજળી માટે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં. આનાથી રાજ્યના કુલ 1 કરોડ 67 લાખ પરિવારોને ફાયદો થશે. બિહારમાં દરેક જગ્યાએ સોલાર પેનલ લગાવવામાં આવશે.
સીએમ નીતિશ કુમારે આગળ લખ્યું હતું કે, અમે એ પણ નક્કી કર્યું છે કે આગામી ત્રણ વર્ષમાં આ બધા ઘરેલુ ગ્રાહકોની સંમતિ લઈને તેમના ઘરની છત પર અથવા નજીકના જાહેર સ્થળે સૌર ઉર્જા પ્લાન્ટ લગાવીને લાભ આપવામાં આવશે.મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું હતુ કે કુટીર જ્યોતિ યોજના હેઠળ રાજ્ય સરકાર અત્યંત ગરીબ પરિવારો માટે સૌર ઉર્જા પ્લાન્ટ લગાવવાનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે. એટલું જ નહીં, સરકાર બાકીના લોકોને પણ યોગ્ય સહાય પૂરી પાડશે. આ સાથે ઘરેલુ ગ્રાહકોને હવે 125 યુનિટ સુધી વીજળી ખર્ચવાની જરૂૂર રહેશે નહીં, તેમજ એક અંદાજ મુજબ, આગામી ત્રણ વર્ષમાં રાજ્યમાં 10 હજાર મેગાવોટ સુધી સૌર ઉર્જા ઉપલબ્ધ થશે.
શિક્ષકોની ભરતી પરીક્ષા યોજાશે
આના એક દિવસ પહેલા બુધવારે , મુખ્યમંત્રી નીતિશ કુમારે બિહારમાં સરકારી શિક્ષક બનવાનું સ્વપ્ન જોનારા લોકો માટે પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે બિહારમાં સરકારી શિક્ષકોની ભરતી માટે પરીક્ષાઓ લેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે શિક્ષણ વિભાગને આ માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. ખાલી જગ્યાઓની ગણતરી પૂર્ણ કરવામાં આવશે અને ટીઆરઇ4 પરીક્ષાઓ ટૂંક સમયમાં લેવામાં આવશે. એટલું જ નહીં, બિહારની મહિલાઓ આગળ વધી શકે તે માટે મહિલાઓને 35 ટકા અનામત પણ આપવામાં આવશે.