ન્યુયોર્ક જતી ફ્લાઈટ અધવચ્ચેથી મુંબઈ પરત ફરી, એર ઈન્ડિયાના વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ખળભળાટ
એર ઈન્ડિયાની એક ફ્લાઈટ મુંબઈથી ન્યુયોર્ક જવાની હતી, પરંતુ અધવચ્ચે જ તેને ફરીથી મુંબઈ પરત ફરવું પડ્યું. વિમાનને ઉડાવી દેવાની ધમકીને કારણે પાયલટે પોતાનો માર્ગ બદલવો પડ્યો હતો. જ્યારે એર ઈન્ડિયાનું બોઈંગ 350 એરક્રાફ્ટ અઝરબૈજાનની ઉપરથી ઉડી રહ્યું હતું ત્યારે એરક્રાફ્ટના ક્રૂ મેમ્બર્સને આ ધમકી મળી હતી. પ્લેન મુંબઈ પરત ફર્યા બાદ બોમ્બ શોધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જો કે હજુ સુધી તપાસમાં કંઈ બહાર આવ્યું નથી. જો સૂત્રોનું માનીએ તો, આ માત્ર એક ખોટી ધમકી હતી.
આ વિમાનમાં કુલ 303 મુસાફરો અને 19 ક્રૂ મેમ્બર હાજર હતા. પ્લેન મુંબઈથી બપોરે 2 વાગ્યે ટેકઓફ થયું અને સવારે 10.25 વાગ્યે પરત ફર્યું. AI-119ને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ન્યૂયોર્કના જ્હોન એફ કેનેડી એરપોર્ટ સુધીની મુસાફરી પૂરી કરવામાં લગભગ 15 કલાક લાગે છે. એર ઈન્ડિયાનું કહેવું છે કે હવે પ્લેન આવતીકાલે સવારે 5 વાગે ટેકઓફ કરશે. એર ઈન્ડિયાએ એમ પણ કહ્યું કે મુસાફરોને આરામની જગ્યા, ભોજન અને અન્ય સહાય પૂરી પાડવામાં આવી છે.
એર ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'આજે 10 માર્ચ, 2025ના રોજ મુંબઈથી ન્યૂયોર્ક સુધીના AI-119 પર સંભવિત સુરક્ષા ખતરા મળી આવ્યા હતા. પ્રોટોકોલ મુજબ, વિમાનમાં સવાર તમામ લોકોની સુરક્ષાના હિતમાં વિમાનને મુંબઈ પરત બોલાવવામાં આવ્યું હતું. પ્લેન રાત્રે 10.25 વાગ્યે મુંબઈમાં સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું. સુરક્ષા એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે. એર ઈન્ડિયાના અધિકારીઓ તેમનો સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે. એરક્રાફ્ટ હવે 11 માર્ચ, 2025ના રોજ સવારે 5 વાગ્યે રવાના થશે, ત્યાં સુધી તમામ મુસાફરોને હોટલમાં રહેવા, ભોજન અને અન્ય સહાયની ઓફર કરવામાં આવી છે.