મણીપુરમાં સરકાર રચવા એનડીએની કવાયત: 44 ધારાસભ્યોના ટેકાનો રાજયપાલ સમક્ષ દાવો
મણિપુરમાં સરકાર બનાવવાની કવાયત ફરી એકવાર વેગ પકડ્યો છે. ભાજપની આગેવાની હેઠળનાNDA ના 10 ધારાસભ્યો સરકાર બનાવવાનો દાવો કરવા માટે ઇમ્ફાલમાં રાજભવન પહોંચ્યા છે. આઠ ભાજપ, એક NPP અને એક અપક્ષ ધારાસભ્ય મણિપુરના રાજ્યપાલ અજયકુમાર ભલ્લાને મળ્યા અને રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કર્યો. તેમણે દાવો કર્યો કે તેમને 44 ધારાસભ્યોનું સમર્થન છે.
મણિપુરના ધારાસભ્યોનું એક પ્રતિનિધિમંડળ બુધવારે રાજભવનમાં રાજ્યપાલને મળ્યું અને સરકાર બનાવવાનો દાવો કર્યો. પ્રતિનિધિમંડળે રાજ્યપાલને સમર્થનનો ઔપચારિક પત્ર સુપરત કર્યો અને વર્તમાન રાજકીય અનિશ્ચિતતા વચ્ચે સ્થિર શાસન વિકલ્પ પૂરો પાડવાની તૈયારીનો પુનરોચ્ચાર કર્યો. રાજ્યપાલને મળ્યા બાદ ધારાસભ્ય રાધેશ્યામે કહ્યું, અમને 44 ધારાસભ્યોનું સમર્થન છે અને ભાજપના તમામ ધારાસભ્યો લોકોની ઇચ્છાનું પ્રતિનિધિત્વ કરતી સરકાર બનાવવા માટે તૈયાર છે. અમે રાજ્યપાલને અમારી બહુમતી ધ્યાનમાં લેવા અને ઝડપી પગલાં લેવા વિનંતી કરીએ છીએ. રાજ્યપાલ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ દાવાની સમીક્ષા કરે અને બંધારણીય જોગવાઈઓ મુજબ નિર્ણય લે.
અપક્ષ ધારાસભ્ય નિશિકાંતસિંહે કહ્યું, મોટાભાગના લોકો ઇચ્છે છે કે લોકપ્રિય સરકાર રચાય અને તેથી જ અમે અહીં રાજ્યપાલને મળવા આવ્યા છીએ. અમે અન્ય બાબતો પર પણ ચર્ચા કરી, જેમ કે લોકપ્રિય સરકાર બન્યા પછી રાષ્ટ્રપતિ શાસનનું કાર્ય એકસરખું રહી શકતું નથી. મુખ્ય મુદ્દો લોકપ્રિય સરકારનું નિર્માણ હતું. રાજ્યપાલનો પ્રતિભાવ પણ સારો હતો.
અગાઉ, 21 ધારાસભ્યોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને ઉત્તરપૂર્વીય રાજ્યમાં શાંતિ અને સામાન્યતા સુનિશ્ચિત કરવા માટે લોકપ્રિય સરકાર બનાવવા વિનંતી કરી હતી. આ પત્ર પર ભાજપના 13 સભ્યો, NPP-નાગા પીપલ્સ ફ્રન્ટના ત્રણ-ત્રણ અને વિધાનસભાના બે સ્વતંત્ર સભ્યો દ્વારા સહી કરવામાં આવી હતી.1967 થી અત્યાર સુધીમાં મણિપુરમાં 11 વખત રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. રાજ્ય 43 થી 277 દિવસ સુધી રાષ્ટ્રપતિ શાસન હેઠળ રહ્યું છે.