છત્તીસગઢમાં CMના શપથ ગ્રહણ પહેલા નક્સલી હુમલો, IED બ્લાસ્ટમાં એક જવાન શહીદ
છત્તીસગઢમાં સીએમના શપથ પહેલા નક્સલી હુમલો થયો હતો. નારાયણપુરમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો હતો. આ હુમલામાં એક જવાન શહીદ થયો હતો. જ્યારે અન્ય એક ઘાયલ છે. નારાયણપુરમાં આ હુમલો એવા સમયે થયો જ્યારે વિષ્ણુદેવ સાંઈ રાજધાનીમાં આયોજિત એક સમારોહમાં સીએમ તરીકે શપથ લેવાના હતા. જણાવવામાં આવી રહ્યું છે કે નારાયણપુરની આમદાઈ ખાણમાં નક્સલીઓએ આ હુમલો કર્યો હતો. નક્સલવાદીઓએ અહીં IED પ્લાન્ટ કર્યો હતો.આ હુમલામાં CAF કોન્સ્ટેબલ કમલેશ સાહુ શહીદ થયા હતા. જ્યારે કોન્સ્ટેબલ વિનય કુમાર સાહુ ઘાયલ થયા છે. એસપી પુષ્કર શર્માએ હુમલાની પુષ્ટિ કરી છે.
આ પહેલા સોમવારે સુકમા જિલ્લામાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો હતો. જેમાં બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ કિસ્તારામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. અહીં સુરક્ષા કર્મચારીઓની સંયુક્ત ટીમ રોડ બનાવવાના કામમાં સુરક્ષા પૂરી પાડવા પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે આ બ્લાસ્ટ થયો હતો.
છત્તીસગઢમાં બીજા તબક્કાના મતદાનના દિવસે પણ નક્સલવાદીઓએ નાપાક પ્રવૃત્તિઓ કરી હતી. ધમતરીમાં નક્સલવાદીઓએ CRPFની ટીમ પર હુમલો કર્યો હતો. નક્સલવાદીઓએ પેટ્રોલિંગમાં નીકળેલી CRPF અને DRGની ટીમો પર એક પછી એક IED બ્લાસ્ટ કર્યા હતા. જોકે, આ દરમિયાન બાઇક પર સવાર 2 CRPF જવાનોનો આબાદ બચાવ થયો હતો.