હિમાચલમાં કુદરતનો પ્રકોપ, અત્યાર સુધીમાં 69નાં મોત, 37 લોકો હજુ લાપતા
150થી વધુ ઘરો તબાહ, 261 રસ્તા બંધ, 797 ગામોમાં પાણી પુરવઠો ઠપ
ગુજરાત મિરર, સિમલા તા.4આ વખતે હવામાને હિમાચલ પ્રદેશમાં ખૂબ જ વિનાશ સર્જ્યો છે. 20 જૂનથી ખરાબ હવામાનને કારણે અત્યાર સુધીમાં 69 લોકોએ જીવ ગુમાવ્યા છે. અને 110 લોકો ધવાયા છે. જ્યારે 37 લોકો હજુ પણ ગુમ છે. બચાવ ટીમો તેમને શોધવામાં લાગી છે. સરકારથી લઈને વિપક્ષ સુધીના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ રહ્યા છે. આ આફતના કારણે અંદાજે 500 કરોડનું નુકસાન થયુ છે.
આ દુર્ઘટનામાં 150 થી વધુ ઘરો, 104 પશુઓના વાડા, 31 વાહનો, 14 પુલ અને અનેક રસ્તાઓને નુકસાન થયું હતું. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) એ જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં કુલ162 પશુઓના મોત થયા હતા, જ્યારે મંડીમાં 316 લોકો સહિત 370 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને પાંચ રાહત શિબિરો બનાવવામાં આવ્યા હતા. પૂરને કારણે, મનાલી-કેલોંગ રસ્તો અવરોધિત થઈ ગયો છે અને ટ્રાફિકનો માર્ગ રોહતાંગ પાસ દ્વારા વાળવામાં આવ્યો છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) એ રસ્તાઓ સાફ કરવા માટે માણસો અને મશીનરી તૈનાત કરી છે.
SEOCએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે રાજ્યમાં કુલ 261 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે, જેમાંથી 186 મંડી જિલ્લામાં છે. પૂરને કારણે 599 ટ્રાન્સફોર્મર અને 797 પાણી પુરવઠા યોજનાઓ ખોરવાઈ ગઈ છે. આ આપત્તિમાં લગભગ 500 કરોડનું નુકસાન થયું છે. વાદળ ફાટવાથી 14, અચાનક પૂરમાં આઠ અને પ્રવાહમાં ફસાયેલા સાત લોકોના મોત થયા છે.