વકફ બિલનો નાયડુ-નીતિશ વિરોધ કરશે, મુસ્લિમ પર્સનલ બોર્ડનો દાવો
વોટબેંકની રાજનીતિ મોદી સરકારને ભીડવશે?
વક્ફ બોર્ડ સંશોધન બિલ અંગે સમગ્ર દેશમાં રાજકારણ ગરમાયેલું છે. હવે આવામાં બધાની નજર બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને આંધ્ર પ્રદેશના સીએમ એન ચંદ્રબાબુ નાયડુ પર ટકેલી છે. આ પાર્ટીઓ કેન્દ્રમાં મોદી સરકારની સાથે છે. પરંતુ શું વક્ફ બોર્ડ બિલ પર આ બંને એનડીએનું સમર્થન કરશે કે નહીં તેના પર હવે એક નિવેદન બાદ સવાલ ઊભો થયો છે.
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (અઈંખઙકઇ)ના અધ્યક્ષ મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહમાનીએ ગુરુવારે એક દાવો કર્યો કે મુસ્લિમ સંગઠનોના પ્રતિનિધિઓએ નીતિશકુમાર અને ચંદ્રબાબુ નાયડુ સાથે મુલાકાત કરી છે જેમાં બંને નેતાઓએ ખાતરી અપાવી છે કે તેઓ વક્ફ સંશોધન બિલનો વિરોધ કરશે.
રહમાનીએ એમ પણ કહ્યું કે કેન્દ્રએ આ બિલ પાછું ખેંચી લેવું જોઈએ અને જો આ બિલ સંસદમાં પાસ કરાવવા માટે રજૂ કરાયું તો તેના વિરુદ્ધ દેશવ્યાપી આંદોલન કરાશે અને કાયદાના દાયરામાં રહીને દરેક લડાઈ લડાશે. પ્રેસ કોન્ફરન્સમાં રહમાની ઉપરાંત જમીયત ઉલેમા એ હિન્દના પ્રમુખ મૌલાના અરશદ મદની, જમાત એ ઈસ્લામી હિંદના અમીર સઆદતુલ્લાહ હુસૈની, મરકઝી જમીયત અહેલ હદીસના પ્રમુખ મૌલાના અસગર અલી ઈમામ મેહદી સલફી, પર્સનલ લો બોર્ડના મહાસચિવ મૌલાના ફઝલુર રહીમ મુજદ્દીદી અને પર્સનલ લો બોર્ડના પ્રવક્તા સૈયદ કાસિમ રસૂલ ઈલિયાસ હાજર હતા.
રહેમાનીએ કહયું કે અમારી મુલાકાત અલગ અલગ વિપક્ષી દળોના નેતાઓ સાથે થઈ છે. ચંદ્રબાબુ નાયડુ સાથે પણ મુલાકાત થઈ છે અને તેમણે ખાતરી અપાવી છે કે તેઓ આ બિલનો વિરોધ કરશે. બુધવારે નીતિશકુમાર સાથે પણ મુલાકાત થઈ અને તેમણે પણ ખાતરી અપાવી છે કે તેઓ તેનો વિરોધ કરશે. તેજસ્વી યાદવ સાથે પણ મુલાકાત થઈ અને તેમણે પણ ભરોસો અપાવ્યો છે કે તેઓ આ બિલનો વિરોધ કરશે.
પર્સનલ લો બોર્ડ ચીફના જણાવ્યાં મુજબ શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે વક્ફ પર સરકારને હાથ મૂકવા દેવામાં નહીં આવે. તેમનું કહેવું હતું કે અન્ય અનેક ધર્મનિરપેક્ષ પાર્ટીઓ અને એનડીએના સહયોગી પક્ષોએ પણ આ બિલનો વિરોધ કરવાની ખાતરી આપી છે.