For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નાયબ સિંહ સૈની બનશે હરિયાણાના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળની બેઠકમાં સર્વાનુમતે લેવાયો નિર્ણય

02:36 PM Oct 16, 2024 IST | Bhumika
નાયબ સિંહ સૈની બનશે હરિયાણાના મુખ્યમંત્રી  ધારાસભ્ય દળની બેઠકમાં સર્વાનુમતે લેવાયો નિર્ણય
Advertisement

હરિયાણામાં બીજેપી પોતાના દમ પર સરકાર બનાવવા જઈ રહી છે. રાજ્યમાં સતત ત્રીજી વખત કેસરીયો લહેરાયો છે. નાયબ સિંહ સૈની ફરી એકવાર મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. તેઓ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા છે. તેઓ આવતીકાલે શપથ લેશે. આજે ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં બીજેપી વિધાયક દળની બેઠક મળી હતી, જેમાં તેમને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં હરિયાણાના પ્રભારી કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, સહ પ્રભારી વિપ્લવ દેબ, કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર પણ હાજર હતા. આ બેઠક માટે અમિત શાહ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ બેઠક પંચકુલાના ભાજપ કાર્યાલયમાં યોજાઈ હતી.

ભાજપના અનિલ વિજ અને રાવ ઈન્દ્રજીત સિંહે પણ મુખ્યમંત્રી પદ માટે દાવો કર્યો હતો. પરંતુ પાર્ટીએ ફરી એકવાર નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો છે. બેઠકમાં સર્વાનુમતે દરખાસ્ત પસાર કરવામાં આવી હતી. અનિલ વિજ અને મનોહર લાલ ખટ્ટરે સૈનીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. બેઠકમાં અમિત શાહે કહ્યું કે આ ભાજપની નીતિઓની જીત છે. ભાજપ સિવાય 80ના દાયકા પછી અન્ય કોઈ પાર્ટીએ ત્રીજી વખત પોતાના મુખ્યમંત્રીની પસંદગી કરી નથી.

Advertisement

નાયબ સિંહ સૈની 12 માર્ચ 2024ના રોજ પ્રથમ વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા. આ પહેલા તેઓ હરિયાણા ભાજપના અધ્યક્ષ હતા. તેઓ 2019માં સાંસદ તરીકે ચૂંટાયા હતા. જો તેમની રાજકીય સફરની વાત કરીએ તો તેઓ ભાજપના પ્રદેશ મહામંત્રી, જિલ્લા મહામંત્રી અને જિલ્લા પ્રમુખ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. 2014માં સૈની નારાયણગઢથી ધારાસભ્ય બન્યા અને પછી 2016માં હરિયાણા સરકારમાં રાજ્યમંત્રી બન્યા. સૈની અંબાલાના નારાયણગઢથી આવે છે.

ચૂંટણી દરમિયાન ખુદ અમિત શાહે પંચકુલામાં કહ્યું હતું કે નાયબ સિંહ જ મુખ્યમંત્રી રહેશે. 17મી ઓક્ટોબરે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ સમારોહની પણ તૈયારીઓ ચાલી રહી છે. અમિત શાહ મોટાભાગના ચૂંટણી રાજ્યોમાં સંગઠનથી લઈને વ્યૂહરચના સુધી પાર્ટીની સમસ્યાઓને ઠીક કરવા માટે જવાબદાર છે. તેઓ પાર્ટીમાં 'ચાણક્ય'ની ભૂમિકા નિભાવતા રહ્યા છે, પરંતુ આ વખતે અમિત શાહ જેવા દિગ્ગજ નેતાને નિરીક્ષક બનાવ્યા બાદ અટકળોનું બજાર ગરમ થયું હતું. શું પાર્ટી ફરી આશ્ચર્યજનક ચહેરો લાવવાનું વિચારી રહી છે?

Advertisement
Tags :
Advertisement
Advertisement