પહેલગામના મુસ્લિમો ભાવુક: અમારું દિલ તૂટી ગયું
જુમ્માની નમાઝ પછી સ્થાનિક લોકોએ આતંકી હુમલાના વિરોધમાં દેખાવો કર્યા
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં શોક અને ગુસ્સાનો માહોલ છે. શુક્રવારની નમાઝ બાદ દેશભરમાં આતંકવાદ વિરુદ્ધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. દરમિયાન, જ્યાં આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની તે પહલગામમાં પણ નમાઝ પછી સ્થાનિક મુસ્લિમો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આ કાયરતાપૂર્ણ હુમલાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.પહલગામના લોકોએ આતંકવાદીઓ દ્વારા નિર્દોષ લોકોની સામૂહિક હત્યા બંધ થવી જોઈએ તેવી માંગ ઉઠાવી હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન એક વૃદ્ધ વ્યક્તિ અત્યંત ભાવુક જોવા મળ્યા હતા. તેમણે કહ્યું, પહલગામ હુમલા બાદ અમારું દિલ તૂટી ગયું છે.
અમે અમારી આજીવિકા માટે નહીં, પણ માનવતા માટે રડી રહ્યા છીએ. પ્રવાસીઓ પ્રત્યે લાગણી વ્યક્ત કરતા તેમણે કહ્યું, તે અમારા મહેમાન હતા. અલ્લાહે આપણને એકબીજાની મદદ કરવા માટે બનાવ્યા છે.
તેમણે હુમલામાં શહીદ થયેલા લેફ્ટનન્ટ વિનય નરવાલની પત્નીનો પણ ઉલ્લેખ કર્યો, જેમના લગ્નને માત્ર છ દિવસ જ થયા હતા અને તેઓ તેમના પતિના મૃતદેહ પાસે બેસીને રડી રહ્યા હતા. વૃદ્ધે પીડિત પુત્રીને સંદેશ આપતા કહ્યું, અમે તે દીકરીને કહેવા માંગીએ છીએ કે અમે તમારા માતા-પિતા કરતાં પણ વધુ (આ દુ:ખમાં) સહન કર્યું છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે તે પુત્રીના પતિના આત્માને શાંતિ મળે અને અમને (આ દુ:ખ સહન કરવા માટે) ધીરજ મળે.સ્ત્રસ્ત્ર આ શબ્દો સ્થાનિક લોકોની પીડિતો પ્રત્યેની ઊંડી સંવેદના દર્શાવે છે.
પ્રદર્શન દરમિયાન એક યુવકે આ હુમલાને કાશ્મીરિયત (કાશ્મીરની પરંપરાગત સંસ્કૃતિ અને ભાઈચારો) પર હુમલો ગણાવ્યો હતો. તેણે કહ્યું કે, પહલગામનો આ હુમલો કાશ્મીરિયત પર હુમલો છે અને જેણે આ હુમલો કર્યો છે તેમને જાહેરમાં ફાંસી આપવામાં આવે. તેમણે આ હુમલાની સખત નિંદા કરતા કહ્યું કે તેઓ કાશ્મીરમાં શાંતિ ઈચ્છે છે અને નિર્દોષ લોકોની આટલી નિર્દયતાથી હત્યા કરનારા આતંકવાદીઓને સખત સજા મળવી જોઈએ.
પાક.ના આતંકી કૃત્યથી ભારતના મુસ્લિમો શરમ અનુભવે છે: ઇમામ
જમ્મુના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને સમગ્ર દેશમાં ગુસ્સો છે. આતંકવાદી હુમલાનો વિરોધ કરવા માટે લોકો રસ્તાઓ પર ઉતરી રહ્યા છે. તે જ સમયે, દિલ્હીની જામા મસ્જિદમાં શુક્રવારની નમાજ માટે એકઠા થયેલા મુસ્લિમોએ પહેલગામમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી જામા મસ્જિદના શાહી ઇમામ સૈયદ અહેમદ બુખારીએ કહ્યું કે નિર્દોષ લોકોની હત્યા સહન કરી શકાય નહીં. પાકિસ્તાન દ્વારા ભારતમાં મોકલવામાં આવેલા અને નિર્દોષ લોકોની હત્યા કરનારા આતંકવાદીઓને ન્યાયી ઠેરવી શકાય નહીં. પાકિસ્તાનનું આ કૃત્ય ભારતના કરોડો મુસ્લિમોને શરમજનક બનાવે છે. આના કારણે દેશમાં નફરતનું વાતાવરણ વધી રહ્યું છે.