દિલ્હીમાં મુસ્લિમ સંગઠનોની વકફ બચાવ રેલી
મંગળવારે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં વકફ બચાવો સંમેલન નામના એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરના મુસ્લિમ સંગઠનોએ એકજૂથ થઈને નવા વકફ કાયદા સામે અવાજ ઉઠાવ્યો હતો. આ કાર્યક્રમનું નેતૃત્વ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 180 મુસ્લિમ સંગઠનોએ ભાગ લીધો હતો.
રેલીને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમની બહાર ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. ગુપ્તચર એજન્સીઓની ચેતવણી બાદ CRPF, BSF, દિલ્હી પોલીસ અને મહિલા કર્મચારીઓને એલર્ટ પર રાખવામાં આવ્યા હતા. સુરક્ષાકર્મીઓ લાકડીઓ અને એસોલ્ટ રાઈફલોથી સજ્જ હતા. કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રમુખ ખાલિદ સૈફુલ્લાહ રહેમાનીએ જણાવ્યું હતું કે, અમે સરકારને સંદેશ આપવા માંગીએ છીએ કે દેશને પાર્ટીના ઢંઢેરામાં નહીં પણ બંધારણથી ચલાવવા જોઈએ. નવો વકફ કાયદો બંધારણની ભાવના પર હુમલો છે.આ ઉપરાંત રાજકીય પક્ષોના અનેક સાંસદોએ પણ આ સંમેલનમાં હાજરી આપી હતી. એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસી, આરજેડીના મનોજ ઝા, કોંગ્રેસના ઈમરાન મસૂદ અને સપાના મોહેબુલ્લા નદવી સહિતના ઘણા અગ્રણી નેતાઓએ તેમની હાજરી નોંધાવી હતી. તે જ સમયે, જમાત-એ-ઇસ્લામી હિંદના વડા સૈયદ સદાતુલ્લા હુસૈની, અજમેર દરગાહના સરવર ચિશ્તી અને શિયા ધાર્મિક નેતા કલબ-એ-જવાદ પણ મંચ પર જોવા મળ્યા હતા.
30મીએ રાતે નવ વાગ્યે મુસ્લિમો ઘરમાં બતી ગુલ કરશે
વકફ એમેન્ડમેન્ટ એક્ટને ઘણા મુસ્લિમ સામાજિક અને ધાર્મિક સંગઠનો આ કાયદાને લઘુમતીઓના અધિકારો પર હુમલો માની રહ્યા છે અને તેની સામે સંગઠિત વિરોધની યોજના બનાવી રહ્યા છે. આ દિશામાં, આગામી બે અઠવાડિયામાં ઘણી મહત્વપૂર્ણ પરિષદો અને પ્રદર્શનનો પ્રસ્તાવ છે. 24 એપ્રિલે દિલ્હીમાં ઈન્ડિયા ઈસ્લામિક સેન્ટર ખાતે વકફ બચાવો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે. તેનું નેતૃત્વ જમાત-એ-ઈસ્લામીની કાનૂની પાંખ અને એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ (APCR) દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં અનેક અગ્રણી મુસ્લિમ સંસ્થાઓના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ મુદ્દે પ્રદેશ કક્ષાએ પણ એકત્રીકરણ થઈ રહ્યું છે. 26 એપ્રિલે કોલકાતામાં એક મોટી કોન્ફરન્સ યોજવામાં આવશે, જ્યારે 27 એપ્રિલે મહારાષ્ટ્રમાં વિવિધ સંસ્થાઓની બેઠકનો પ્રસ્તાવ છે. 30 એપ્રિલે, દેશવ્યાપી બત્તી ગુલ અભિયાનના ભાગરૂૂપે, મુસ્લિમ સમુદાયના લોકો સાંકેતિક વિરોધ રૂૂપે રાત્રે 9 વાગ્યે તેમના ઘરોમાં વીજળી બંધ કરશે.
સંગઠનોની બેઠક 1 મેના રોજ જમશેદપુરમાં યોજાશે, જ્યારે 3-4 મેના રોજ દેવબંદમાં પ્રસ્તાવિત કાર્યકારી બેઠક હવે દિલ્હીમાં યોજાશે. સૌથી મોટો કાર્યક્રમ 7 મેના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં પ્રસ્તાવિત છે, જ્યાં હજારો મુસ્લિમ પ્રતિનિધિઓ એકઠા થશે અને શાંતિપૂર્ણ પ્રદર્શન કરશે.