મોદી 150 સભાઓ, રોડ-શો કરશે: દક્ષિણ પર ફોકસ
- હોળી પછી પીએમ ઝંઝાવાતી પ્રચાર શરૂ કરશે: દક્ષિણના રાજ્યોમાં 40 રેલીનું આયોજન
ભારતીય જનતા પાર્ટી, લોકસભાની ચૂંટણી જાહેર થાય તે સાથે જ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરે તેવી સ્થિતિ સર્જશે. ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ તબક્કામાં 195 બેઠકોના ઉમેદવારો જાહેર કરી દીધી છે. તો કોણ કયા રાજ્યમાં ચૂંટણી પ્રચાર કરશે તેની પણ એક રૂૂપરેખા ઘડી કાઢી છે.આ વખતે પણ નરેન્દ્ર મોદી વિવિધ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર, જાહેર સભા, રોડ શો કરશે. પીએમ મોદી દક્ષિણથી ઉત્તર અને પૂર્વથી પશ્ચિમ સુધી લગભગ તમામ રાજ્યોમાં રેલીઓ અને રોડ શો કરતા જોવા મળશે.
કેન્દ્રના શાસક પક્ષ ભાજપે આગામી લોકસભાની ચૂંટણી માટે તેના ચૂંટણી પ્રચારનું આયોજન ગોઠવી દીધું છે. ગત વખતની જેમ આ વખતે પણ ચૂંટણી પ્રચારની કમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં રહેશે. 25 માર્ચે હોળી પછી મોદી, દેશમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂૂ કરશે. આ દરમિયાન રેલીઓ અને સભાઓની સાથે પીએમ મોદી રોડ શો પણ કરશે અને પ્રજા સાથે સીધો સંપર્ક સાધવાનો પ્રયાસ કરશે.
મળતી માહિતી મુજબ ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદી દેશભરમાં લગભગ 150 ચૂંટણી સભાઓ અને રોડ શો કરશે. પીએમ મોદીનું સૌથી વધુ ધ્યાન દક્ષિણ ભારત પર રહેશે, કારણ કે ઉત્તર અને મધ્યની સરખામણીમાં ભાજપ અહીં પ્રમાણમાં નબળું છે. આવી સ્થિતિમાં મોદી દક્ષિણના રાજ્યોમાં ઓછામાં ઓછી 35-40 ચૂંટણી સભાઓને સંબોધન કરશે અને ઘણા રોડ શો પણ કરશે. તાજેતરના દિવસોમાં પીએમ મોદીએ દક્ષિણના રાજ્યોની ઘણી વખત મુલાકાત લીધી છે.
જો દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની વાત કરીએ તો પીએમ મોદી અહીં 80 લોકસભા સીટો માટે 15 થી વધુ જાહેરસભા, રેલીઓ અને રોડ શો કરશે. કહેવામાં આવી રહ્યું છે કે કાનપુર, લખનૌ, ગોરખપુર, વારાણસી, ઝાંસી, પ્રયાગરાજ, મુરાદાબાદ, મેરઠ, બરેલી, આગ્રામાં પીએમ મોદીની રેલીઓ યોજવાની તૈયારીઓ ચાલી રહી છે.
પીએમ મોદી વારાણસી સહિત અનેક શહેરોમાં મોટા પાયે રોડ શો કરતા જોવા મળશે. વારાણસી પીએમ મોદીનો સંસદીય ક્ષેત્ર છે અને તેઓ આ વખતે પણ ત્યાંથી ચૂંટણી લડી રહ્યા છે. પીએમ મોદી જે દિવસે ઉમેદવારી પત્ર ભરશે તે દિવસે વારાણસીમાં રોડ શો યોજશે. આ સિવાય આસામમાં પણ પીએમ મોદીની 1 કે 2 રેલીઓ કરશે. આસામ એ રાજ્ય છે જ્યાં ભાજપની સરકાર છે અને હેમંત બિસ્વા સરમા મુખ્ય પ્રધાન છે.
આગામી લોકસભા ચૂંટણી પ્રચારમાં પીએમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણા મોટા નેતાઓ દેશભરમાં રેલીઓ કરશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા પણ ઉત્તર પ્રદેશ અને બિહારમાં રેલીઓ કરતા જોવા મળશે.