મોદી યુક્રેન સાથેના યુધ્ધનો અંત લાવવા સકારાત્મક ભૂમિકા ભજવી રહ્યા છે: પુતિન
જયશંકર સાથેની મુલાકાતમાં લોકસભાની ચૂંટણી માટે શુભેચ્છા પાઠવી, રશિયાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું
ભારત અને રશિયાની મિત્રતા વર્ષો જૂની છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશો વચ્ચેની મિત્રતા વધુ ગાઢ બની છે. રશિયાના રાષ્ટ્રપતિ અનેકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી ચૂક્યા છે. બુધવારે ફરી એકવાર રશિયન રાષ્ટ્રપતિએ પીએમ મોદીના વખાણ કર્યા અને તેમના નેતૃત્વની પ્રશંસા કરી હતી.
નોંધનીય છે કે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર આ દિવસોમાં રશિયાના પ્રવાસે છે. જયશંકર બુધવારે રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા હતા.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે પીએમ મોદી રશિયા-યુક્રેન વિવાદને શાંતિપૂર્ણ માધ્યમથી ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. જયશંકર સાથેની મુલાકાત દરમિયાન તેમણે પીએમ મોદીના સકારાત્મક વલણ પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે અમે મોદીના વલણને સમજીએ છીએ. અમે ઘણા પ્રસંગોએ આનો વારંવાર ઉલ્લેખ કર્યો છે. હું જાણું છું કે તેઓ આ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. અમે આ વિશે ઊંડાણમાં વાત કરીશું. તેમણે ભારત-રશિયા સંબંધો માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આ પ્રસંગે મોદીને આવતા વર્ષે રશિયાની મુલાકાત લેવા જણાવ્યું હતું.
પુતિને કહ્યું હતું કે મારા મિત્ર નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાતથી અમને ઘણી ખુશી મળશે. આ સમય દરમિયાન આપણે ઘણી શક્યતાઓ પર ચર્ચા કરી શકીએ છીએ. પુતિને પીએમ મોદીને આવતા વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણી માટે શુભેચ્છા પાઠવી છે. તેમણે વિદેશ મંત્રી જયશંકરને કહ્યું કે તમે પીએમ મોદીને કહો કે અમે તેમને મળવા માંગીએ છીએ. હું ઈચ્છું છું કે તેઓ જલદી રશિયા આવે. હું જાણું છું કે આવતા વર્ષે લોકસભાની ચૂંટણીને કારણે પીએમ મોદી ખૂબ જ વ્યસ્ત છે. હું તેમની સફળતા માટેની કામના કરું છું.