છેલ્લા બે વર્ષમાં મંજૂર કરાયેલ લાખો પેટન્ટ, ટ્રેડમાર્કનું ભાવિ અધ્ધરતાલ
આઉટસોર્સ કર્મચારી દ્વારા અપાયેલી મંજૂરી રદ કરવા અધિક સોલિસિટર જનરલનો અભિપ્રાય
કર્મચારીઓની અછતને કારણે ટ્રેડમાર્ક અને પેટન્ટને મંજૂરી આપવામાં વિલંબ થતો હોવાને કારણે કોન્ટ્રાક્ટથી કર્મચારીઓને હાયર કરી આ પરવાનગી આપવા અંગે કલકત્તા હાઈકોર્ટે સપ્તાહ અગાઉ જણાવ્યું હતું. હવે દેશના અધિક સોલિસિટર જનરલે આઉટસોર્સ કર્મચારીઓ દ્વારા અપાયેલી મંજૂરી રદ્દ કરવાનો અભિપ્રાય આપ્યો છે.
જેના પગલે છેલ્લા બે વર્ષમાં મંજૂર કરાયેલ લાખો પેટન્ટ અને ટ્રેડમાર્કના ભાવિ પર ગંભીર પ્રશ્નાર્થ લાગી ગયો છે.
છેલ્લા બે વર્ષમાં ક્ધટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઈન અને ટ્રેડ માર્કસ (સીજીપીડીટીએમ) દ્વારા પસાર કરવામાં આવેલા પેટન્ટ તથા ટ્રેડમાર્કના લાખો ઓર્ડર પર અનિશ્ચીતતાના વાદળો ઘેરાયા છે. કેમ કે, દેશના અધિક સોલિસિટર જનરલ (એએસજે)એ તેની કાયદેસરતા સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું છે કે, આ અંગેના નિર્ણયો આઉટસોર્સડ એમ્પ્લોયિઝ દ્વારા લેવામાં આવ્યા છે, જે અસ્તિત્વમાં આવ્યા ત્યારથી જ તેમાં ખામી રહેલી છે અને તે કાયદેસર રીતે પાલન કરવા યોગ્ય નથી.
17 જૂન 2024ના રોજ અધિક સોલિસિટર જનરલે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (ડીપીઆઈઆઈટી)ને સુપરત કરેલા પોતાના અભિપ્રાયમાં સૂચન કર્યું છે કે, અનધિકૃત આઉટસોર્સ કર્મચારીઓ દ્વારા લેવામાં આવેલા તમામ નિર્ણયોને રદ્દ કરવામાં આવે. કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી મંત્રીએ પોતાના અધિકારીઓને નિર્દેશ કર્યો હતો કે, આ મામલે અધિક સોલિસિટર જનરલનો અભિપ્રાય માંગવામાં આવે.કર્મચારીઓની ભારે અછત સર્જાતા સીજીપીડીટીએમએ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા મારફત કુલ 790 કર્મચારીઓનું આઉટસોર્સ કર્યું હતું. 10 ઓક્ટોબર 2022થી રૂૂ.50.26 કરોડનો ખર્ચ થયો હતો. અલબત્ત પેટન્ટ કાર્યાલયે મૂળભૂત રીતે વાર્ષિક રૂૂ.62.15 કરોડની પડતરે 1,114 કર્મચારીઓને કામ પર રાખવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
પેટન્ટ અને ટ્રેડમાર્કને મંજૂરી આપવામાં વિલંબ થતો હોવાના કારણને પગલે મેનપાવરની અછત દૂર કરવા આઉટસોર્સ દ્વારા કર્મચારીઓને હાયર કરવામાં આવ્યા હતા, એમ ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું.