બે ચૂંટણી કમિશનરની નિમણૂક માટે 15મીએ બેઠક, ચૂંટણી જાહેર થવામાં વિલંબ
- અરૂણ ગોયલે અચાનક રાજીનામું આપતા સ્થિતિ બદલાઇ
શુક્રવારે 8 માર્ચે ચૂંટણી કમિશનર અરુણ ગોયલે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમના રાજીનામા બાદ હવે બે ચૂંટણી કમિશનરની જગ્યાઓ ખાલી છે. હવે આ પદો પર નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 15 માર્ચે બેઠક યોજવામાં આવી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાનની આગેવાની હેઠળની પેનલ ચૂંટણી કમિશનરની ખાલી જગ્યાઓ ભરવા માટે 15 માર્ચે સાંજે 6 વાગ્યે બેઠક કરશે. માનવામાં આવે છે કે નવા બે કમિશનરોની નિમણુંક પછી જ લોકસભાની ચુંટણીનું સમયપત્રક જાહેર થઇ શકે છે.
જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીની જાહેરાતના થોડા દિવસો પહેલા ચૂંટણી કમિશનર અરુણ ગોયલે 8 માર્ચે રાજીનામું આપી દીધું હતું. અગાઉ એક ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડે ફેબ્રુઆરીમાં નિવૃત્ત થયા હતા. ત્રણ સભ્યોના કમિશનમાં માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર જ બાકી છે. અરુણ ગોયલે કહ્યું છે કે તેમના રાજીનામા પાછળનું કારણ વ્યક્તિગત હતું પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની અને મુખ્ય ચૂંટણી કમિશનર વચ્ચે મતભેદ હતા. જો કે અમુક સુત્રો માને છે કે તેઓ ચંદીગઢ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચુંટણી લડી શકે છે.
ઉલ્લેખનીય છે કે અરુણ ગોયલ 1985 બેચના પંજાબ કેડરના નિવૃત્ત ઈંઅજ અધિકારી છે. તેમણે 18 નવેમ્બર 2022 ના રોજ સચિવ (ભારે ઉદ્યોગ) ના પદ પરથી ટછજ લીધું હતું. એક દિવસ પછી તેમને ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા. ગોયલ તાજેતરમાં જ ચૂંટણીની તૈયારીઓ માટે વિવિધ રાજ્યોની મુલાકાતે હતા. જો કે, સ્વાસ્થ્યના કારણોસર પ્રવાસ અધવચ્ચે જ પડતો મૂકવામાં આવ્યો હતો. ગોયલને ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા ત્યારે પણ ઘણો વિવાદ થયો હતો અને તેમની નિમણૂક સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.