For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મૌલાના રશીદી અને અનિરૂધ્ધાચાર્ય: મહિલા વિરોધી માનસ ધરાવતા વધુ બે નમૂના

10:57 AM Jul 31, 2025 IST | Bhumika
મૌલાના રશીદી અને અનિરૂધ્ધાચાર્ય  મહિલા વિરોધી માનસ ધરાવતા વધુ બે નમૂના

સંસદમાં ઓપરેશન સિંદૂરની ચર્ચાની ગરમાગરમીના કારણે મૌલાના સાજિદ રશીદીએ સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવ સામે કરેલી ગંદી કોમેન્ટનો મુદ્દો દબાઈ ગયો છે. ગયા અઠવાડિયે સપાના મુખિયા અખિલેશ યાદવ, પોતાની પાર્ટીના સાંસદો મોહિબુલ્લા નદવી, ડિમ્પલ યાદવ, ધર્મેન્દ્ર યાદવ, ઝિયા ઉર રહેમાન બર્ક, ઈકરા હસન વગેરે સાથે સંસદ પાસે આવેલી એક મસ્જિદમાં ગયા હતા. સપા સાંસદ મોહિબુલ્લા નદવી આ મસ્જિદના ઇમામ છે. ભાજપે સપા પર મસ્જિદમાં રાજકીય બેઠક યોજવાનો આક્ષેપ મૂકીને હોહા કરવાની મથામણ કરેલી પણ કોઈને તેમાં રસ નહોતો પડ્યો.હવે આ મુલાકાતના એક ફોટા અંગે ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના પ્રમુખ મૌલાના સાજિદ રશીદીએ કરેલી કોમેન્ટના કારણે બબાલ થઈ ગઈ છે. રશીદીએ કોમેન્ટ કરી કે, ડિમ્પલ યાદવ મસ્જિદમાં નગ્ન લાગે એવાં કપડાં પહેરીને આવેલાં. મૌલાનાએ ડિમ્પલ યાદવને સુફિયાણી સલાહ પણ આપી કે, ઈકરા હસન પાસેથી મસ્જિદમાં કઈ રીતે અવાય ને કેવાં કપડાં પહેરાય તેનું જ્ઞાન લેવું જોઈએ.

Advertisement

મૌલાના રશીદીની કોમેન્ટથી ભાજપની મહિલા સાંસદોને લાગી આવ્યું ને તેમણે સંસદની બહાર દેખાવો કર્યા તેમાં આ મુદ્દો રાજકીય બની ગયો. ભાજપની મહિલા સાંસદોનું કહેવું છે કે, મૌલાના સાજિદ રશીદીએ આ ગંદી કોમેન્ટ કરીને મહિલાઓનું અપમાન કર્યું છે એ નહીં ચલાવી લેવાય. ભાજપ શાસિત યુપીમાં રશીદી સામે પોલીસ ફરિયાદ પણ થઈ ગઈ. ડિમ્પલે ભાજપ સાંસદોની હરકતને હાસ્યાસ્પદ ગણાવીને મહિલા સન્માનની વાતોને રાજકીય ફાયદો માટેનું હથિયાર ગણાવ્યું છે.

અનિરુદ્ધાચાર્ય નામના એક કથાકારે કરેલી ટીકા આ બેવડાં ધોરણોનો તાજો પુરાવો છે. મધ્ય પ્રદેશમાં રહેતા કથાકાર અનિરુદ્ધાચાર્યનું મૂળ નામ અનિરુદ્ધ રામ તિવારી છે. ધાર્મિક વક્તા એવા અનિરુદ્ધાચાર્ય ભાગવત પુરાણ સહિતના હિન્દુ ગ્રંથો પર આધારિત પ્રવચનો આપીને પોતાની દુકાન ચલાવે છે અને સોશ્યલ મીડિયા પર પણ ખાસ્સા સક્રિય છે. આ મહારાજે હમણાં જ્ઞાન પિરસ્યું કે, આપણે ત્યાં 25 વર્ષની છોકરીઓ લિવ ઈનમાં રહીને 4 જગાએ મોં મારીને આવે છે. આવી છોકરીઓ લગ્નના સંબંધને નિભાવી શકે ખરી? આ મુદ્દે બહુ ચર્ચાનો મતલબ નથી પણ આખી વાતનો સાર એ કે, મૌલાના રશીદી અને અનિરુદ્ધાચાર્યની માનસિકતામાં ઝાઝો ફરક નથી. બંને સ્ત્રીઓને પોતાની સંકુચિત માનસિકતાના ત્રાજવે તોળી રહ્યા છે. બંને સ્ત્રીઓને પોતાની અલ્પ મતિ પ્રમાણે કેરેક્ટર સર્ટિફિકેટ આપવા નીકળી પડ્યા છે પણ ભાજપની મહિલા સાંસદોને વાંધો ખાલી રશીદી સામે છે, અનિરુદ્ધાચાર્ય સામે નહીં.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement