મથુરા કૃષ્ણ જન્મભૂમિ કેસની કાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
શાહી ઇદગાહ મસ્જિદ કૃષ્ણના જન્મસ્થળ પર બનાવવામાં આવી હોવાનો વિવાદ છે
ઉત્તર પ્રદેશના મથુરામાં કૃષ્ણ જન્મસ્થળને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. હિન્દુ પક્ષનું કહેવું છે કે મથુરાની શાહી ઈદગાહ મસ્જિદ કૃષ્ણના જન્મસ્થળ પર બનાવવામાં આવી છે.
હવે સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ શુક્રવાર, 9 ઓગસ્ટે મથુરા કૃષ્ણ જન્મભૂમિ કેસની સુનાવણી કરશે. મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બેંચ કૃષ્ણ જન્મભૂમિ કેસની સુનાવણી કરશે.
હકીકતમાં, અલ્હાબાદ હાઈકોર્ટના નીચલી કોર્ટમાં પેન્ડિંગ કુલ 18 કેસને સુનાવણી માટે પોતાની પાસે ટ્રાન્સફર કરવાના નિર્ણયને મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. 1 ઓગસ્ટ, 2024ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે આ અરજીઓને મેન્ટેનેબલ ગણાવી હતી.
મથુરા કૃષ્ણ જન્મભૂમિ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના તાજેતરના નિર્ણય બાદ સુપ્રીમ કોર્ટ પહેલીવાર આ કેસની સુનાવણી કરશે. ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટથી હાઈકોર્ટમાં અરજીઓ ટ્રાન્સફર કરવા પર પ્રતિબંધ લગાવવાની મુસ્લિમ પક્ષની માંગને ફગાવી દીધી હતી.
શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં મથુરા કૃષ્ણ જન્મભૂમિ સંકુલના એડવોકેટ સર્વે કમિશનના કેસની પણ સુનાવણી થશે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે એડવોકેટ સર્વે કમિશનના આદેશ પર હાઈકોર્ટ દ્વારા વચગાળાનો સ્ટે મુકી દીધો છે. હિન્દુ પક્ષ આ પ્રતિબંધ હટાવવાની માંગ કરી રહ્યો છે.