પંજાબમાં કબડ્ડી ખેલાડીની સરાજાહેર ગોળી મારી હત્યા
પંજાબના લુધિયાણામાં કબડ્ડી ખેલાડી ગુરવિંદર સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. આ ઘટનાની જવાબદારી કુખ્યાત બિશ્નોઈ ગેંગે લીધી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલામાં ગુરવિંદર સિંહ અને તેમનો એક મિત્ર ધર્મવીર ઘાયલ થયા હતા. બંને ઘાયલોને સૌપ્રથમ સમરાલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને વધુ સારવાર માટે પીજીઆઇએમઇઆર (PGIMER) ચંદીગઢ રિફર કરવામાં આવ્યા હતા. જોકે, ગુરવિંદરે ચંદીગઢના રસ્તામાં જ અંતિમ શ્વાસ લીધા હતા, જ્યારે ધર્મવીર હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
સ્થાનિક લોકોના કહેવા મુજબ, મૃતક ગુરવિંદર સિંહ સક્રિય કબડ્ડી ખેલાડી હતા અને અવારનવાર સ્થાનિક તેમજ જિલ્લા સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લેતા હતા. ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજમાં હુમલાખોરોને ગુનો કરીને ભાગતા જોઈ શકાય છે. પોલીસે આ ફૂટેજ કબજે કરીને તપાસ શરૂૂ કરી દીધી છે. એસપી (ડી) ખન્ના પવનજીત અને ડીએસપી સમરાલા કરમજીત સિંહ ગ્રેવાલે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.
પોલીસ દ્વારા આ મામલે કેસ નોંધીને વિવિધ પાસાઓ પર તપાસ કરવામાં આવી રહી છે, જેમાં અંગત અદાવતની (ખાનગી રંજિશ) પણ આશંકા વ્યક્ત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ લુધિયાણાના જગરોઆં વિસ્તારમાં અન્ય એક કબડ્ડી ખેલાડી તેજપાલની પણ હત્યા કરવામાં આવી હતી, જેના કારણે આ બીજી મોટી ઘટનાએ ચિંતા વધારી દીધી છે. ગુરવિંદરનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સમરાલા સિવિલ હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ટૂંક સમયમાં આરોપીઓની ઓળખ કરીને તેમને પકડી પાડવાની ખાતરી આપવામાં આવી છે.