પ્રારંભિક તપાસમાં ઇન્ડિગોના વહીવટમાં ગેરરીતિઓ જોવા મળી: ઉડ્ડયનમંત્રી
ઇન્ડિગો એરલાઇન્સની મોટા પાયે ફ્લાઇટ્સ રદ થવાના અને મુસાફરોને હાલાકી ભોગવવી પડવાના મામલે સરકારે લોકસભામાં આક્રમક વલણ રજૂ કર્યું છે. કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ સ્પષ્ટતા કરી છે કે આ મામલે જવાબદારી નક્કી કરવામાં આવશે અને એરક્રાફ્ટ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
લોકસભામાં નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે, ’પ્રારંભિક તપાસમાં ઇન્ડિગોની આંતરિક વ્યવસ્થામાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે. ઇન્ડિગોમાં ફ્લાઇટ ક્રૂના આંતરિક રોસ્ટર અને ડ્યુટી શેડ્યૂલમાં ગંભીર અનિયમિતતાઓ બહાર આવી છે, જેના કારણે સમગ્ર નેટવર્કમાં ચેન રિએક્શન શરૂૂ થયું હતું. શિયાળાનું સમયપત્રક, ખરાબ હવામાન, ટેકનિકલ ખામીઓ અને હવાઈ ટ્રાફિકની ભીડને કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી.કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુએ મુસાફરોને ખાતરી આપી હતી કે, ’સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં અને મુસાફરો સાથે અસભ્ય કે અસંવેદનશીલ વર્તન કરનારી કોઈપણ એરલાઇનને મંજૂરી આપવામાં આવશે નહીં. અમે ભારતમાં સેવા શરૂૂ કરવા માટે નવી એરલાઈન્સને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. વધુ કંપનીઓનો અર્થ વધુ સેવા છે.