ભારતની વધતી વસતી દેશની સ્થિરતા માટે જોખમ: નારાયણમૂર્તિ
ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિએ ભારતની ઝડપથી વધતી વસ્તીને દેશની સ્થિરતા માટે સૌથી મોટા જોખમો પૈકીનું એક ગણાવ્યું છે. તેમણે કહ્યું કે ઇમરજન્સી બાદથી વસ્તી નિયંત્રણની મોટાભાગે ઉપેક્ષા કરવામાં આવી છે. આ એક ભૂલ હવે દેશના ભવિષ્યને જોખમમાં મૂકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત વસ્તી, માથાદીઠ જમીનની ઉપલબ્ધતા અને આરોગ્ય સંભાળ સુવિધાઓ સંબંધિત નોંધપાત્ર પડકારોનો સામનો કરે છે.
ભારત અને અમેરિકા, બ્રાઝિલ અને ચીન જેવા દેશોની સરખામણી કરતાં તેમણે કહ્યું કે આ દેશોમાં માથાદીઠ જમીનની ઉપલબ્ધતા ઘણી વધારે છે. કટોકટી પછી, અમે વસ્તી નિયંત્રણ પર પૂરતું ધ્યાન આપ્યું નથી. તેના કારણે આપણા દેશમાં અસ્થિરતાનો ખતરો છે.
નારાયણ મૂર્તિએ કહ્યું કે આવનારી પેઢીનું જીવન સુધારવા માટે એક પેઢીએ ઘણા બલિદાન આપવા પડશે. મારા માતા-પિતા, ભાઈ-બહેન અને શિક્ષકોએ મારી પ્રગતિ માટે બલિદાન આપ્યું અને મુખ્ય અતિથિ તરીકે મારી હાજરી એ વાતનો પુરાવો છે કે તેમનું બલિદાન વ્યર્થ નથી ગયું.
ગયા મહિનાની શરૂૂઆતમાં તેમણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ચીન સાથે સ્પર્ધા કરવાની ભારતની ક્ષમતા પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ચીનની જીડીપી ભારત કરતા છ ગણી વધારે છે. આવી સ્થિતિમાં ભારત માટે મેન્યુફેક્ચરિંગ હબ જેવા શબ્દોનો ઉપયોગ કરવો એ હિંમત છે. દેશમાં ઉત્પાદન ક્ષેત્રના વિકાસ માટે સરકારની ભાગીદારી અને જાહેર વહીવટમાં સુધારો જરૂૂરી છે.