LoC પર ભારતીય આર્મીની મોટી કાર્યવાહી: ઘૂસણખોરી કરી રહેલા 7 પાકિસ્તાનીઓને ઠાર માર્યા
ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 7 પાકિસ્તાનીઓને ઠાર કર્યા છે. આમાં પાકિસ્તાની સેનાના 3 સૈનિકોનો પણ સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આ ઘટના 4 ફેબ્રુઆરીની રાત્રે પૂંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી પાસે બની હતી જ્યારે નિયંત્રણ રેખા (LoC) નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાની ઘૂસણખોરો કુખ્યાત બોર્ડર એક્શન ટીમની મદદથી ભારતીય સૈનિકો પર હુમલો કરવા માંગતા હતા. બોર્ડર એક્શન ટીમને એલઓસી પર છુપાયેલા હુમલાઓ કરવા માટે તાલીમ આપવામાં આવે છે. પાકિસ્તાનની આ એજન્સી અગાઉ પણ બોર્ડર પર ભારતીય સૈનિકો પર હુમલો કરી ચૂકી છે. આ અનુભવનો ફાયદો ઉઠાવીને આ ટીમ ફરી એકવાર ભારતીય જવાનોને નિશાન બનાવવા માંગતી હતી.
સૂત્રોએ જણાવ્યું કે ભારતીય સૈનિકોએ એલઓસી પર પાકિસ્તાની ઘૂસણખોરોને જોતા જ ઠાર માર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાં આતંકી સંગઠન અલ-બદરના આતંકીઓનો પણ સમાવેશ થાય છે.
આ ઘટના તે દિવસે બની જ્યારે પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરને લઈને પોતાનો પ્રચાર ફેલાવે છે અને કથિત રીતે 5 ફેબ્રુઆરીને કાશ્મીર એકતા દિવસ તરીકે મનાવવાનો ઢોંગ કરે છે.