હુમલાનો બદલો લેવા ભારત મોટા એક્શનની તૈયારીમાં
વડાપ્રધાને દિલ્હી એરપોર્ટ ઉપર જ હાઇલેવલ બેઠક યોજતા ભારે ઉત્તેજના
અમિત શાહનો શ્રીનગરમાં જ મુકામ, પહેલગામમાં ઘટનાસ્થળની પણ મુલાકાત લીધી
પહેલગામ હુમલા બાદ વડાપ્રધાન મોદીએ વિદેશથી પરત ફરતા જ દિલ્હી એરપોર્ટ ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી જયારે ગૃહમંત્રી અમિત શાહે પહેલગામમાં મૃતકોને પુષ્પાંજલિ અર્પી હતી.
કાશ્મીરના પહેલગામમાં ગઇકાલે આતંકવાદીઓએ ભયાનક હુમલો કરી 28 જેટલા નિર્દોષ પર્યટકોની હત્યા કરી નાખતા સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે ત્યારે વડાપ્રધાન મોદી પણ તેમનો સાઉદી અરેબીયાનો પ્રવાસ ટુંકાવીને રાત્રે જ પરત દિલ્હી પહોંચી ગયા હતા અને દિલ્હી એરપોર્ટ ઉપર જ હાઇલેવલ બેઠક યોજતા કંઇક મોટુ થઇ રહ્યાના નિર્દેશો મળે છે. ભારત સરકાર કોઇ મોટુ એકશન લેવાની તૈયારીમાં હોવાનું જણાય છે. દિલ્હીમાં સતત બેઠકોના દૌરના કારણે દેશભરમાં ભારે ઉત્કંઠા જોવા મળી રહી છે.
બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે સાંજથી શ્રીનગરમાં જ મુકામ કર્યો છે અને આજે સવારે પહેલગામ ખાતે ઘટનાસ્થળની પણ મુલાકાત લીધી હતી. દિલ્હી પહોંચતાની સાથે જ વડાપ્રધાને એરપોર્ટ પર જ એક ઈમરજન્સી બેઠક બોલાવી. આ મહત્વપૂર્ણ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (ગજઅ) અજિત ડોભાલ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને વિદેશ સચિવ હાજર રહ્યા હતા.
વડાપ્રધાનના વિદેશ પ્રવાસ પરથી પરત ફર્યા પછી તરત જ યોજાયેલી આ ઉચ્ચ-સ્તરીય બેઠકમાં હુમલાની ગંભીરતા, આંતરરાષ્ટ્રીય પ્રતિભાવ અને સુરક્ષા વ્યૂહરચનાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ ગઈકાલે રાત્રે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડા પ્રધાન મોહમ્મદ બિન સલમાન સાથેની મુલાકાત પછી તરત જ પાછા ફરવાનો નિર્ણય લીધો. તેમણે ક્રાઉન પ્રિન્સના શાહી ભોજન સમારંભમાં પણ હાજરી આપી ન હતી અને ભારતીય સમય મુજબ રાત્રે 1:45 વાગ્યે ઉડાન ભરી હતી અને આજે સવારે 6:45 વાગ્યે નવી દિલ્હી પહોંચ્યા હતા. ઈમરજન્સી સ્થિતિને ધ્યાનમાં રાખીને, પીએમ મોદીએ આજે સવારે સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિની બેઠક બોલાવી છે.
આ પહેલા પીએમ મોદીએ પહેલગામમાં થયેલા આતંકી હુમલાની આકરી નિંદા કરી હતી. તેમણે કહ્યું કે આ ઘૃણાસ્પદ કૃત્યમાં સંડોવાયેલા લોકોને ન્યાય અપાશે. મોદીએ ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું, તેઓને (આતંકવાદીઓને) બક્ષવામાં આવશે નહીં. તેમનો નાપાક એજન્ડા ક્યારેય સફળ નહીં થાય. આતંકવાદ સામે લડવાનો અમારો સંકલ્પ મક્કમ છે. તે વધુ મજબૂત બનશે. પીએમ મોદીએ હુમલામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે.
વડા પ્રધાન મોદીએ હુમલા પછી ગૃહ પ્રધાન અમિત શાહ સાથે પણ વાત કરી હતી અને તેમને પરિસ્થિતિનો સામનો કરવા માટે તમામ યોગ્ય પગલાં લેવા જણાવ્યું હતું.
પહેલગામ આતંકવાદી હુમલાના હુમલાખોરની તસવીર જાહેર
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના એક હુમલાખોરની પહેલી તસવીર સામે આવી છે. આ તસવીર ઘટના સ્થળની છે, જેમાં તે હાથમાં બંદૂક પકડીને ઉભો છે. જોકે, તસવીરમાં આતંકવાદીનો ચહેરો દેખાતો નથી. પહેલગામ હુમલા બાદ આતંકવાદીઓની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. એનઆઇએની ટીમો શ્રીનગર પહોંચી ગઈ છે. ફોરેન્સિક ટીમો પણ ઘટનાસ્થળે હાજર છે. સેના, CRPF, SOG,, જમ્મુ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. હેલિકોપ્ટર અને ડ્રોનનો ઉપયોગ કરીને આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે.