રાંચીમાં એક પણ ટેસ્ટ મેચ નથી હાર્યું ભારત, ઇંગ્લેન્ડ પ્રથમ વખત રમશે
- શ્રેણી જીતવાના નિર્ધાર સાથે કાલે મેદાનમાં ઉતરશે ટીમ ઇન્ડિયા, મુકેશકુમારની એન્ટ્રી, દેવદત પડિકલ પણ રમશે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની ચોથી મેચ રાંચીમાં રમાશે. બંને ટીમો વચ્ચે 23 ફેબ્રુઆરીથી ઉંજઈઅ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સમાં ટક્કર થશે. ઈંગ્લેન્ડે હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ જીતીને સીરિઝની ધમાકેદાર શરૂૂઆત કરી હતી. જે બાદ ભારતીય ટીમે શાનદાર વાપસી કરતા વિશાખાપટ્ટનમ અને રાજકોટમાં રમાયેલી ટેસ્ટ મેચો જીતીને સીરિઝમાં 2-1ની લીડ મેળવી હતી.
રાંચીમાં ભારતીય ટીમની નજર ચોથી મેચ જીતીને સીરિઝમાં અજેય લીડ મેળવવા પર રહેશે. આ સાથે જ ઈંગ્લેન્ડની ટીમ સીરિઝમાં ટકી રહેવા માટે જીત અથવા ડ્રોની આશા રાખશે. રાંચી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનું ઘર છે. અહીં ભારતીય ટીમ અત્યાર સુધી એક પણ ટેસ્ટ મેચ હારી નથી. આ સાથે જ ઈંગ્લેન્ડ પ્રથમ વખત ધોનીના શહેરમાં ટેસ્ટ મેચ રમશે.
રાંચીમાં અત્યાર સુધી બે ટેસ્ટ મેચ રમાઈ છે. પ્રથમ ટેસ્ટ મેચ વર્ષ 2017માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. તે મેચ ડ્રો રહી હતી. જ્યારે બીજી ટેસ્ટ મેચ વર્ષ 2019માં યોજાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું. ભારત આ મેદાન પર ક્યારેય ન હારવાનો પોતાનો રેકોર્ડ જાળવી રાખવાની કોશિશ કરશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જયારે વર્ષ 2017માં રાંચીમાં ટક્કર થઇ હતી ત્યારે રવિન્દ્ર જાડેજાનો જાદુ જોવા મળ્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. જે બાદ તેણે ભારત માટે પ્રથમ ઇનિંગમાં અણનમ 54 રન પણ બનાવ્યા હતા. જાડેજાએ બીજી ઇનિંગમાં પણ શાનદાર બોલિંગ કરી 4 વિકેટ ઝડપી હતી. આ સાથે જ રવિચંદ્રન અશ્વિને બંને ઇનિંગ્સમાં એક-એક વિકેટ લીધી હતી.
સાઉથ આફ્રિકા સામે વર્ષ 2019માં રમાયેલી ટેસ્ટ મેચમાં રોહિત શર્માએ બેવડી સદી ફટકારી હતી. તેણે પ્રથમ ઇનિંગમાં 212 રન બનાવ્યા હતા. જાડેજાએ 51 અને અશ્વિને 14 રન બનાવ્યા હતા. બોલિંગમાં જાડેજાએ પ્રથમ ઇનિંગમાં બે વિકેટ ઝડપી હતી. તેને બીજી ઇનિંગમાં એક વિકેટ મળી હતી. અશ્વિનને પ્રથમ ઇનિંગમાં સફળતા મળી ન હતી. પરંતુ તેણે બીજી ઇનિંગમાં એક વિકેટ ઝડપી હતી. ભારતે આ મેચ એક ઇનિંગ અને 202 રને જીતી લીધી હતી.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીના ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાની ટીમમાં કેટલાક ફેરફાર જોવા મળ્યા છે. જસપ્રીત બુમરાહ અને કેએલ રાહુલ આ મેચનો ભાગ નહીં હોય. આ સાથે જ મુકેશ કુમારની ટીમમાં એન્ટ્રી થઈ ગઈ છે. આ બધા સિવાય ટીમમાં વધુ એક ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ક્વાડ્રિસેપ્સની ઈજાને કારણે કેએલ રાહુલ હવે ત્રીજી મેચ બાદ ચોથી ટેસ્ટમાંથી બહાર છે. ઇઈઈઈં એ અપડેટ કર્યું છે કે તે શ્રેણીની છેલ્લી મેચમાં ટીમનો ભાગ હશે. આવી સ્થિતિમાં પસંદગીકારોએ ફરી એકવાર દેવદત્ત પડિકલને ટીમમાં સામેલ કર્યા છે. દેવદત્ત પડિક્કલને અગાઉ માત્ર ત્રીજી ટેસ્ટ માટે જ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેને પ્લેઇંગ 11માં સામેલ કરવામાં આવ્યો ન હતો. જો કે હવે તે ચોથી મેચમાં પણ ટીમનો ભાગ હશે.
રોહિતના નામે સૌથી વધુ રન
રાંચીમાં સૌથી વધુ રન બનાવનાર બેટર રોહિત શર્મા છે. રોહિતના નામે 212 રન છે. તેના પછી ચેતેશ્વર પુજારા બીજા સ્થાને છે. તેણે બે મેચમાં 202 રન બનાવ્યા છે. જાડેજાએ બે મેચમાં 105 રન બનાવ્યા છે. આ મેદાન પર સૌથી વધુ રન બનાવવાના મામલે જાડેજા સાતમા સ્થાને છે. બોલિંગમાં જાડેજા નંબર-1 છે. તેણે બે મેચમાં 12 વિકેટ ઝડપી છે. અશ્વિને 2 મેચોમાં 3 વિકેટ લીધી છે.
ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ માટે ઈન્ડિયાની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), કે.એસ. ભરત (વિકેટકીપર), દેવદત્ત પડિકલ, આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશકુમાર, આકાશ દીપ.