For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હિંમત હોય તો કહો... ભારતીય સેના હિંદુ છે કે મુસ્લિમ: શહીદના ભાઈનો સવાલ

11:23 AM Apr 28, 2025 IST | Bhumika
હિંમત હોય તો કહો    ભારતીય સેના હિંદુ છે કે મુસ્લિમ  શહીદના ભાઈનો સવાલ

Advertisement

જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લાના ડુડા બસંતગઢ વિસ્તારમાં આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન શહીદ થયેલા ભારતીય સેનાના જવાન ઝંતુ અલી શેખને પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં તેમના વતન ગામમાં સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે દફનાવવામાં આવ્યા હતા. શહીદ જવાનના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ દરમિયાન ઝંતુ અલી શેખના ભાઈ રફીકુલ શેખે આપેલું ભાષણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

લોકો શહીદ જવાન અને તેના પરિવારની વિચારસરણીને સલામ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઝંતુ અલી શેખનો ભાઈ રફીકુલ શેખ પણ ભારતીય સેનામાં સુબેદાર છે.
ઝંતુ અલી શેખ ભારતીય સેનાના 6 પેરા સ્પેશિયલ ફોર્સમાં હવાલદાર તરીકે તૈનાત હતા. પહેલગામ હુમલા બાદ સેનાને ઈનપુટ મળ્યા હતા કે કેટલાક આતંકવાદીઓ જંગલોમાં છુપાયા છે. આ ગુપ્ત માહિતીના આધારે, સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂૂ કર્યું, જેમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ઝંતુ અલી શેખ શહીદ થયો.

Advertisement

પોતાના ભાઈને દફનાવ્યા બાદ સુબેદાર રફીકુલે કહ્યું, "આતંકવાદીઓએ મારા ભાઈ ઝંતુ અલી પર પાછળથી હુમલો કર્યો. અમારું કામ તેમની શહાદતનો બદલો લેવાનું છે. અમે બદલો લઈશું અથવા મરી જઈશું.” તેણે સ્થાનિક લોકોને અપીલ કરી, "મારા ભાઈને બે બાળકો છે. કૃપા કરીને તેમના માટે થોડી વ્યવસ્થા કરો.” પોતાના ભાઈના બલિદાન પર તેણે કહ્યું, "મને ગર્વ છે કે મારા ભાઈએ દેશ માટે પોતાનો જીવ આપ્યો. દુ:ખ અપાર છે. પરંતુ લાખોમાંથી થોડા જ લોકોને દેશ માટે મરવાની તક મળે છે. તે માત્ર અમારા પરિવારનું જ નહીં પરંતુ સમગ્ર નાદિયા જિલ્લા અને બંગાળનું ગૌરવ છે.

કબ્રસ્તાનમાં હાજર લોકોને સંબોધતા શહીદ ઝંતુ અલી શેખના ભાઈ રફીકુલે કહ્યું, અમે સૈનિક છીએ, સૈનિકોનો કોઈ ધર્મ કે જાતિ નથી હોતી. ભારતીય સેનાનો કોઈ ધર્મ નથી. આપણે એક જ વાટકીમાંથી ખાઈએ છીએ અને પીએ છીએ. સેનામાં કોઈ ભેદભાવ નથી. જો કોઈમાં હિંમત હોય તો તે કહે કે ભારતીય સેના હિન્દુ છે કે મુસ્લિમ. ભારતીય સેના એક એવી જગ્યા છે જ્યાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ એક જ થાળીમાં ખાય છે અને દરેકને એક જ વાસણમાં ભોજન વહેંચવામાં આવે છે. જો કોઈને ભાઈચારો જોવો હોય તો જઈને સેના જોઈ લો. પછી તમને ખબર પડશે કે ભાઈચારો શું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement