રોબર્ટ-પ્રિયંકા વાડરા ભ્રષ્ટાચારી હોય તો તેમને જેલમાં ફિટ કરી દો
લોકસભાની ચૂંટણી નજીક છે તેથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સહિતની કેન્દ્ર સરકારની એજન્સીઓને રોબર્ટ વાડરા પાછા યાદ આવી ગયા છે. ઈડીને રોબર્ટ વાડરા યાદ આવ્યા તેનો મતલબ ભાજપને યાદ આવ્યા એવો થાય એ કહેવાની જરૂૂર નથી કેમ કે ઈડી કેન્દ્ર સરકારના ઈશારે કામ કરતી એજન્સી છે. 2014માં ભાજપ સત્તામાં આવ્યો ત્યારથી આ ખેલ ચાલે છે. ચૂંટણી આવે એટલે રોબર્ટ વાડરાના કહેવાતા ભ્રષ્ટાચાર અંગે તપાસનું નાટક શરૂૂ થાય, ચૂંટણી પ્રચારમાં વાડરાના નામે કોંગ્રેસ અને ખાસ તો નહેરુ-ગાંધી ખાનદાનને ભ્રષ્ટાચારી ગણાવીને ગાળો દેવાય ને જેવી ચૂંટણી પતે કે તરત વાડરા સાહેબ ભુલાઈ જાય.
દર વખતે આ ધંધો થાય છે તેથી લોકો પણ ઉબવા માંડ્યા છે એટલે ઈડીએ એક નવું આકર્ષણ ઉમેરવા પ્રયત્ન કર્યો છે. આ વખતે વાડરાની સાથે સાથે તેમનાં ધર્મપત્ની પ્રિયંકા ગાંધીનો પણ ઉલ્લેખ કરી નાંખ્યો છે. ફરાર આર્મ્સ ડીલર સંજય ભંડારી સામે ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (ઙખકઅ) હેઠળ દાખલ કરેલા ચાર્જશીટમાં રોબર્ટ વાડરાનો ઉલ્લેખ છે. ઈડીનું કહેવું છે કે, ભંડારીએ ભ્રષ્ટાચાર કરીને લંડનમાં વસાવેલી એક પ્રોપર્ટીને વાડરાએ રીનોવેટ કરાવી હતી અને તેમાં રહ્યા પણ હતા. આડકતરી રીતે ઈડીનું કહેવું છે કે, લંડનની આ પ્રોપર્ટીના માલિક રોબર્ટ વાડરા છે ને વાડરાએ કોઠાંકબાડાં કરીને મેળવેલી છે.
આ ચાર્જશીટમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડરાનું નામ પણ છે. ઈડીનો દાવો છે કે, પ્રિયંકાએ 2006માં હરિયાણાના ફરીદાબાદમાં 5 એકર ખેતીની જમીન ખરીદી હતી. પ્રિયંકાએ આ જમીન દિલ્હીના રિયલ એસ્ટેટ એજન્ટ એચ.એલ. પાહવા પાસેથી ખરીદી હતી અને ફેબ્રુઆરી 2010માં જ પાહવાને આ જમીન પાછી વેચી દેવામાં આવી હતી. આ જમીન ફરીદાબાદના અમીપુર ગામમાં પાહવા પાસેથી ખરીદવામાં આવી હતી. પ્રિયંકાના પતિ રોબર્ટ વાડરાએ પણ 2005-2006માં પાહવા પાસેથી અમીપુર ગામમાં 40.08 એકર જમીનના ત્રણ ટુકડા ખરીદ્યા હતા અને ડિસેમ્બર 2010માં પાહવાને પાછી જમીન વેચી દીધી હતી. જો કે સૌથી મોટો સવાલ એ છે કે, વાડરાએ ભ્રષ્ટાચાર કર્યો હોય તો તેની ધરપકડ કેમ કરાતી નથી ? છેલ્લાં 10 વર્ષથી વાડરાએ બેફામ ભ્રષ્ટાચાર કર્યો હોવાની વાતો કરાય છે તો પછી વાડરાને તેનાં કરમોની સજા કેમ મળતી નથી? ચૂંટણી આવે ત્યારે જ કેમ વાડરાને યાદ કરાય છે?