ગભરાયેલા સાંસદોએ બનાવ વર્ણવી કહ્યું: આ ગંભીર સુરક્ષા ચૂક
અધિરંજન ચૌધરી દાનિસઅલી, ડિમ્પલ યાદવે બનાવની આંખોદેખી માહિતી આપી
સંસદની સુરક્ષામાં ચૂક પર સાંસદોએ પોતાના વિચાર વ્યક્ત કર્યા છે. કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે આ લોકસભાની સુરક્ષામાં મોટી ચૂક છે.અચાનક 20 વર્ષના બે યુવક દર્શક ગેલેરીમાંથી સદનમાં કૂદી પડ્યા હતા અને તેમના હાથમાં ટિયરગેસ સ્પ્રે હતો જેમાંથી પીળો ધુમાડો નીકળતો હતો તેમાંથી એક અધ્યક્ષની ખુરશી તરફ ભાગવાનો પ્રયાસ કરતો હતો અને તેમણે કેટલાક નારા પણ લગાવ્યા હતા. આ ધુમાડો ઝેરી હોઇ શકતો હતો. આ સુરક્ષાનું ગંભીર ઉલ્લંઘન છે. ખાસ કરીને આજના દિવસે (13 ડિસેમ્બરે) જે દિવસે 2001માં સંસદ પર હુમલો થયો હતો.
કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું, બે યુવક ગેલેરીથી કૂદ્યા હતા અને તેમણે કંઇક ફેક્યુ હતું જેમાંથી ગેસ નીકળતો હતો, સાંસદોએ તેમને પકડ્યા હતા, તે પછી સુરક્ષાકર્મીઓએ બહાર કાઢ્યા હતા.
સદનની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. આ નિશ્ચિત રીતે સુરક્ષાનું ઉલ્લંઘન છે.
સમાજવાદી પાર્ટીના સાંસદ અને સપાના પ્રમુખ અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવે કહ્યું કે જે પણ લોકો અહીં આવે છે, પછી તે દર્શક હોય કે પત્રકાર સાથે ટેગ નથી રાખતા, માટે મને લાગે છે કે સરકારે તેના પર ધ્યાન રાખવું જોઇએ. મને લાગે છે કે આ પુરી રીતે સુરક્ષામાં મોટી ચૂક છે. લોકસભાની અંદર કંઇ પણ થઇ શકતું હતું.
ઘટના પર બહુજન સમાજવાદી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદ દાનિશ અલીએ કહ્યું કે પબ્લિક ગેલેરીથી બે લોકો કૂદ્યા હતા. એકદમથી ધુમાડો જોવા મળ્યો હતો. બન્નેને પકડી લેવામાં આવ્યા છે પરંતુ થોડા સમય માટે ભાગદોડ મચી ગઇ હતી. આ મોટી બેદરકારી છે.
22 વર્ષ પહેલાં સંસદના હુમલાની વરસીએ જ લોકસભામાં ઘૂસણખોરી
વડાપ્રધાન સહિતના નેતાઓએ સવારે શ્રધ્ધાંજલિ આપી હતી
22 વર્ષ પહેલાં સંસદ હુમલામાં જીવ ગુમાવનારા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના અન્ય ઘણા પ્રતિષ્ઠિત નેતાઓ અને પ્રધાનો પહોંચ્યા ત્યારે જૂની સંસદની ઇમારત બુધવારે એક ગૌરવપૂર્ણ પ્રસંગની સાક્ષી બની હતી. લોકસભાના સ્પીકર ઓમ બિરલા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ઉપાધ્યક્ષ જગદીપ ધનખર પણ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં જોડાયા હતા.
13 ડિસેમ્બર, 2001ના રોજ જગદીશ, માતબર, કમલેશ કુમારી; નાનક ચંદ અને રામપાલ, મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર, દિલ્હી પોલીસ; ઓમ પ્રકાશ, બિજેન્દર સિંહ અને ઘનશ્યામ, દિલ્હી પોલીસમાં હેડ કોન્સ્ટેબલ; અને દેશરાજ, એક માળી, ઈઙઠઉ, આતંકવાદી હુમલાથી સંસદનું રક્ષણ કરતી વખતે પોતાનો જીવ આપી દીધો.
હુમલાખોરો લશ્કર-એ-તૈયબા (કયઝ) અને જૈશ-એ-મોહમ્મદ (ઉંયખ)-ના હતા- પાકિસ્તાન સ્થિત બે આતંકવાદી સંગઠનો- જેમણે 13 ડિસેમ્બર, 2001ના રોજ સંસદ પર હુમલો કર્યો હતો, જેમાં દિલ્હી પોલીસના પાંચ કર્મચારીઓ અને સંસદના બે સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા.
13 ડિસેમ્બર, 2001ના રોજ થયેલા હુમલામાં ગૃહ મંત્રાલય અને સંસદના લેબલવાળી કારમાં સંસદમાં પ્રવેશેલા કુલ પાંચ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. તે સમયે મોટા રાજનેતાઓ સહિત 100 થી વધુ લોકો સંસદની અંદર હતા.