For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હિંડનબર્ગનો નવો ધડાકો, મોદી સરકાર શંકાના દાયરામાં

12:22 PM Aug 12, 2024 IST | admin
હિંડનબર્ગનો નવો ધડાકો  મોદી સરકાર શંકાના દાયરામાં

લગભગ દોઢ વર્ષ પહેલાં એટલે કે 2023ના જાન્યુઆરીમાં અદાણી ગ્રૂપની કંપનીઓમાં મોટા પાયે નાણાંકીય ગેરરીતિઓનો આક્ષેપ કરીને ખળભળાટ મચાવનારી યુએસની હિંડનબર્ગ રીસર્ચ એલએલસીએ ફરી મેદાનમાં આવી છે અને મોટો ધડાકો કર્યો છે. હિંડનબર્ગ રિસર્ચનું ટાર્ગેટ આ વખતે પણ અદાણી જ છે પણ સાથે સાથે સેબીનાં ચેરમેન માધવી પુરી બૂચ અને તેમના પતિ ધવલ બૂચને પણ લપેટી લીધાં છે. ફર્મે દાવો કર્યો છે કે, માધવી બૂચ અને તેમના પતિ ધવલ બૂચ અદાણી દ્વારા કરાયેલી ગોલમાલમાં ભાગીદાર છે.

Advertisement

ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીએ મોરીશિયસના આઈપીઈ પ્લાસ ફંડ અને બરમુડાના ગ્લોબલ ઓપર્ચ્યુનિટીઝ ફંડનો ઉપયોગ નાણાંકીય ગરબડો કરવા માટે અને કંપનીનાં નાણાં સગેવગે કરવા માટે કર્યો હોવાનો આક્ષેપ હિંડનબર્ગે મૂક્યો હતો. વિદેશનાં આ બંને ફંડમાં માધવી અને ધવલ બૂચ હિસ્સો ધરાવે છે. હિંડનબર્ગે આડતકતરી રીતે અદાણી ગ્રૂપ દ્વારા કરાયેલી નાણાંકીય ગરબડોમાં સેબીનાં ચેરમેન ભાગીદાર હોવાનો આરોપ મૂકી દીધો છે.

હિંડનબર્ગના અહેવાલ મુજબ, માધવી અને ધવલ બૂચે બર્મુડા અને મોરેશિયસમાં ફાયનાન્સિયલ ફંડ્સમાં રોકાણ કર્યું તેની વિગતો જાહેર કરી નહોતી. માધવી અને ધવલ બૂચે આ વિગતો કેમ છૂપાવી એ સવાલ હિંડનબર્ગે ઉઠાવ્યો છે. અદાણી સાથેના કનેક્શનના કારણે જ દોઢ વર્ષ પહેલાં હિંડનબર્ગનો રીપોર્ટ બહાર આવ્યો પછી પણ સેબીએ અદાણી ગ્રૂપને કંઈ ના કર્યું એવો પણ હિંડનબર્ગનો દાવો છે.

Advertisement

આ નવા રીપોર્ટ દ્વારા હિંડનબર્ગે મોદી સરકારને પણ શંકાના દાયરામાં લાવી દીધી છે કેમ કે સેબી નાણાં મંત્રાલયના તાબામાં કામ કરે છે અને સેબી ચેરમેનની નિમણૂક કેન્દ્ર સરકાર કરે છે. સેબીના ચેરમેનપદે માધવી બૂચની નિમણૂક 2022માં કરાઈ હતી. હિંડનબર્ગના રિપોર્ટમાં સંકેત અપાયો છે કે, માધવી બૂચની નિમણૂક અદાણી ગ્રુપના કહેવાથી કરાઈ હતી.

મોદી સરકાર અને ખાસ તો નરેન્દ્ર મોદી પોતે અદાણી સાથેના અંગત સંબંધોના કારણે ટીકાઓનો ભોગ બની ચૂક્યા છે. હિંડનબર્ગના નવા રિપોર્ટના કારણે આ ટીકાઓ વધશે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ સ્પષ્ટ બહુમતીના મેળવી શક્યો પછી નરેન્દ્ર મોદી રાજકીય રીતે નબળા પડી ગયા છે. વિપક્ષો આ મુદ્દાનો ઉપયોગ મોદી પર પ્રહાર કરવા માટે કરશે તેથી રાજકીય રીતે મોદી વધારે નબળા પડશે એ કહેવાની જરૂર નથી.

હિંડનબર્ગ એ જ કરે છે તેથી તેની વાતને શંકાની નજરે જોઈ શકાય પણ હિંડનબર્ગ ખાલી વાતો કરતું નથી. એ તથ્યોના આધારે રિપોર્ટ પણ પ્રસિદ્ધ કરે છે. આ તથ્યોને નજરઅંદાજ ના કરી શકાય. કમ સે કમ તેની તપાસ તો થવી જ જોઈએ. કંપનીએ નિયમો તોડીને નાણાકીય ગેરરીતિ કરી હોયને હિંડનબર્ગ તેની પોલ ખોલીને રૂૂપિયા રળે તો તેમાં કશું ખોટું નથી. કંપનીના લાખો રોકાણકારો સુધી સાચી વાત પહોંચાડીને હિંડનબર્ગ કમાણી કરે તો તેને અનૈતિક ના ગણી શકાય.

હિંડનબર્ગના નવા ધડાકા પછી બજાર તૂટશે કે નહીં એ અટકળનો વિષય નથી પણ મોદી સરકાર શું કરે છે એ જોવાનું છે. મોદી સરકાર ખરેખર પારદર્શક હોય તો તેણે માધવી બૂચને સેબીના ચેરમેનપદેથી દૂર કરીને હિંડનબર્ગના રિપોર્ટમાં કરાયેલા આક્ષેપોની તપાસ કરાવવી જોઈએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement