દેશના તમામ એરપોર્ટ પર હાઇ એલર્ટના આદેશ
એરપોટર્સ, એરસ્ટ્રિપ, હેલિપેડ, ફલાઇંગ સ્કૂલ્સ ઉપર હુમલાની શકયતા
ભારતમાં આવેલા તમામ એરપોર્ટ્સ માટે સિવિલ એવિએશન સુરક્ષા બ્યુરો (BCAS) દ્વારા તત્કાળ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આવી ચેતવણી મળવા પાછળનું કારણ પાકિસ્તાનથી સંકળાયેલા આતંકી જૂથોની સંભવિત ગતિવિધિ અંગે મળેલી ઈન્ટેલિજન્સ માહિતી છે.
BCAS દ્વારા 4 ઓગસ્ટે જાહેર કરાયેલી એડવાઈઝરીમાં જણાવાયું છે કે 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 વચ્ચે આતંકી કે અસામાજિક તત્વો દ્વારા ભારતમાં આવેલ એરપોર્ટ્સ, એરસ્ટ્રિપ, હેલિપેડ અને ફ્લાઈંગ સ્કૂલ્સમાં હુમલાની શક્યતા છે. પરિણામે તમામ વિમાનચાલન સુવિધાઓમાં સુરક્ષા વધુ કડક બનાવી દેવાની સૂચના આપવામાં આવી છે.
તમામ એરપોર્ટ્સ પર 24k7 પેટ્રોલિંગ, ખાસ કરીને ટર્મિનલ, પાર્કિંગ, અને પેરિમીટર વિસ્તારોમાં સુરક્ષા વધારવાની સૂચના અપાઇ છે. સ્ટાફ, વિઝિટર્સ અને કોન્ટ્રાક્ટર્સ માટે ID ચેક કડક કરવામાં આવશે. સીસીટીવી સિસ્ટમ સંપૂર્ણ રીતે કાર્યરત અને નિત્ય નિરીક્ષણ હેઠળ હોવી જોઈએ. તમામ કાર્ગો અને મેઇલનું કડક સ્ક્રિનિંગ ફરજિયાત બનાવાયું છે, તેમાં પણ આંતરરાષ્ટ્રીય તેમજ દેશી ઉડાનો સમાવિષ્ટ છે. સ્થાનિક પોલીસ અને એજન્સીઓ સાથે સંકલન કરી સલામતીનાં પગલા ભરવા તાકિદ કરવામાં આવી છે.
BCAS એ તમામ સ્ટેકહોલ્ડર્સને જેમાં એરલાઈન્સ, એરપોર્ટ ઓથોરિટીઝ અને રાજ્ય પોલીસનો સમાવેશ થાય છે. સ્થાનિક પોલીસ, CISF, IB અને અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે સતત સંકલનમાં રહેવાની સૂચના આપી છે. દરેક ઈન્ટેલિજન્સ ઇનપુટ કે એલર્ટની તાત્કાલિક માહિતી દરેક સંબંધિત એજન્સીને પહોંચાડી દેવાની ફરજ ઊભી કરવામાં આવી છે.