For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દહેરાદૂનના સહસ્ત્રધારા, હિમાચલમાં આભ ફાટતાં ભારે તારાજી

11:10 AM Sep 16, 2025 IST | Bhumika
દહેરાદૂનના સહસ્ત્રધારા  હિમાચલમાં આભ ફાટતાં ભારે તારાજી

ઉતરાખંડના પર્યટનસ્થળે વાદળ ફાટતાં દુકાનો ધોવાઇ, અનેક લાપતા: તમસા નદીમાં પૂર આવતા શિવલિંગ ડૂબી ગયું: ધરમપુરમાં આખું બસ સ્ટેન્ડ ડૂબી જતાં વાહનો તણાયા: ભૂસ્ખલનમાં ત્રણનાં મોત

Advertisement

નૈઋત્યના ચોમાસાની વિદાયના દિવસો ગણાઇ રહ્યા છે ત્યારે ઉતરાખંડ અને હિમાચલપ્રદેશમાં વાદળ ફાટવાની તાજી ઘટનાઓ સામે આવી છે.

ભારે વરસાદને કારણે ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનના પ્રખ્યાત સહસ્ત્રધારમાં રાત્રે વાદળ ફાટવાની ઘટના બની હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. આ ઘટનામાં કેટલીક દુકાનો ધોવાઈ ગઈ હતી. જિલ્લા વહીવટીતંત્રે રાત્રે જ નજીકના લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા. બે લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે, જેમની શોધ ચાલુ છે. બીજી બાજુ મસુરીમાં ભારે વરસાદથી મજુરોના ઘર પર કાટમાળ પડતા એકનું મોત થયું હતું. જયારે એકને ગંભીર ઇજા થઇ હતી. તમસા નદીમાં પુર આવતા ટપકેશ્વર મંદિરમાં પુરના પાણી ઘુસતા શિવલીંગ પણ ડુબી ગયું હતું.

Advertisement

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું હતું કે, મોડી રાત્રે દેહરાદૂનના સહસ્ત્રધારમાં ભારે વરસાદને કારણે કેટલીક દુકાનોને નુકસાન થયાના દુ:ખદ સમાચાર મળ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર, SDRF, પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલી છે. કાર્ડીગાડના ગ્રામપ્રધાન રાકેશ જખાડીએ જણાવ્યું હતું કે વાદળ ફાટયા પછી મુખ્ય બજારમાં કાટમાળ પડયો હતો. લગભગ 100 લોકોને બચાવી લેવાયા હતા.

જિલ્લા મેજિસ્ટ્રેટની સૂચના પર, SDM કુમકુમ જોશી રાત્રે જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, જિલ્લા મેજિસ્ટ્રેટે દેહરાદૂનમાં ધોરણ 1 થી 12 સુધીની તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે. આઇટી પાર્ક દેહરાદૂન ખાતે મોડી રાતથી ભારે વરસાદથી પાણી ભરાઈ જવાને કારણે ઘણા વાહનો રસ્તા પર રમકડાની જેમ તરતા જોવા મળ્યા હતા.

દેહરાદૂન-હરિદ્વાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ફન વેલી અને ઉત્તરાખંડ ડેન્ટલ કોલેજ નજીક એક પુલને નુકસાન થયું છે. દેહરાદૂનમાં ભારે વરસાદને કારણે તમસા નદી પૂરની સ્થિતિમાં છે.

દરમિયાન, હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદે ફરી તબાહી મચાવી છે. ગઈકાલે રાત્રે મંડીના ધરમપુરમાં વાદળ ફાટવાથી બસ સ્ટેન્ડ પાણીમાં ડૂબી ગયું. રાજ્યની રાજધાની શિમલા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન અને સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયાના અહેવાલો છે. મંડી જિલ્લાના નિહરી વિસ્તારમાં ભુસ્ખલનમાં ત્રણ લોકોના મોત થયા હતા.

ગઈકાલે રાત્રે ધરમપુરમાં વરસાદે એટલી તબાહી મચાવી હતી કે આખું બસ સ્ટેન્ડ પાણીમાં ડૂબી ગયું અને બસો સહિત અનેક વાહનો તણાઈ ગયા. આ ઘટનામાં અત્યાર સુધીમાં એક વ્યક્તિ ગુમ થયાના અહેવાલ છે. ભારે વરસાદને કારણે અહીં વહેતી સોન ખાડ નદીનું પાણીનું સ્તર પણ ઘણું વધી ગયું છે. પાણીનું સ્તર વધવાને કારણે બસ સ્ટેન્ડ સહિત લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે રાત્રે નાસભાગ મચી ગઈ હતી. લોકોએ ઘરોની છત પર ચઢીને પોતાનો જીવ બચાવ્યો હતો. પોલીસે રાત્રે જ બચાવ કામગીરી હાથ ધરી હતી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં સોમવારે વરસાદ પડ્યો હતો, જ્યારે કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા પડ્યા હતા, જેના કારણે ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 493 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ રહ્યા હતા.

20 જૂને રાજ્યમાં ચોમાસાની શરૂૂઆત થઈ ત્યારથી વરસાદ સંબંધિત ઘટનાઓ અને માર્ગ અકસ્માતોમાં કુલ 409 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 41 લોકો હજુ પણ ગુમ છે. મૃતકોમાંથી 180 લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં રાજ્યને 4,504 કરોડ રૂૂપિયાનું નુકસાન થયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement