દિલ્હીમાં પંજાબ પોલીસના બદલે ગુજરાત પોલીસની તહેનાતી: કેજરીવાલ-હર્ષ સંઘવી વચ્ચે લાઠીદાવ
આવતા મહિને દેશના પાટનગર દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. એ પહેલાં દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે આરોપ મૂક્યા છે, જેના પડઘા દિલ્હી ઉપરાંત ગુજરાતમાં સંભળાયા છે.
અરવિંદ કેજરીવાલનો આરોપ છે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી દરમિયાન ચૂંટણીપંચે પંજાબ પોલીસની ડ્યૂટી હઠાવીને ગુજરાત પોલીસને તહેનાત કરવાનો નિર્ણય લીધો છે.
જેની સામે ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કેજરીવાલને ઍક્સ પર સાર્વજનિક રીતે જવાબ આપ્યો હતો અને તેમના પૂર્વ મુખ્ય મંત્રી હોવા વિશે પણ સવાલ ઉઠાવ્યા હતા.
ભાજપે દિલ્હીની ચૂંટણી દરમિયાન પંજાબ સરકારનાં સંસાધનોના ઉપયોગનો આરોપ મૂક્યો છે. આ પહેલાં દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી તથા આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપ તથા કેન્દ્ર સરકારના મંત્રીઓ અને ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયાની તટસ્થતા વિશે સવાલ ઉઠાવી ચૂક્યા છે. તેમણે સોશિયલ મીડીયા પોસ્ટમાં લખ્યું ગુજરાત પોલીસનો આ આદેશ વાચો. ચૂંટણીપંચે દિલ્હીમાંથી પંજાબ પોલીસને હઠાવીને ગુજરાત પોલીસને તહેનાત કરી દીધી છે. આ બધું શું ચાલી રહ્યું છે?
એ પછી ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જવાબમાં લખ્યું, મને હવે સમજાયું કે લોકો તમને કપટી કેમ કહે છે. કેજરીવાલજી મને તો આશ્ચર્ય થાય છે કે પૂર્વ મુખ્ય મંત્રી હોવા છતાં તમને ચૂંટણીપંચની પ્રક્રિયા વિશે ખબર નથી. તેમણે માત્ર ગુજરાત જ નહીં, અનેક રાજ્યોમાંથી પોલીસ ફોર્સની માગ કરી હતી. ભારતના ચૂંટણીપંચે અલગ-અલગ રાજ્યોમાંથી એસઆરપીની (સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ) તહેનાતીના આદેશ આપ્યા હતા.
આ વિનંતીના આધારે ગુજરાત પોલીસની આઠ કંપનીઓ 11 જાન્યુઆરીના રોજ દિલ્હી મોકલવામાં આવી હતી. કેજરીવાલજી, શા માટે માત્ર ગુજરાતનો જ નામોલ્લેખ કરી રહ્યા છો.
હર્ષ સંઘવીએ પોતાની ઍક્સ પોસ્ટમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ફેક્સની કોપી પણ મૂકી હતી. જેમાં ગુજરાત સિવાય બિહાર, ઝારખંડ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર તથા કર્ણાટક જેવાં સાત અન્ય રાજ્યોની પોલીસની તહેનાતી વિશે વિવરણ છે.
આ સિવાય સીઆરપીએસ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ), બીએસએફ (બોર્ડર સિક્યોરિટી ફોર્સ), આઈટીબીપી (ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસ ફોર્સ) તથા એસએસબી (સશસ્ત્ર સીમાબળ) જેવાં અર્ધલશ્કરી દળોની ટુકડીઓ વિશે વિવરણ છે.
આ તમારી પહેલી ચૂંટણી છે કે હાર અંગે નર્વસ છો? પંજાબ પોલીસને તમારી વ્યક્તિગત સુરક્ષામાંથી હઠાવવામાં આવી છે. એ કોઈ મોટી વાત નથી, તમે (કેજરીવાલ) અને દિલ્હી એકબીજાના પર્યાય નથી.
અરવિંદ કેજરીવાલની સુરક્ષામાં તહેનાત પંજાબ પોલીસને હઠાવવા અંગે રાજ્યના પોલીસ મહાનિદેશક ગૌરવ યાદવ અગાઉ આપી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું. અમને પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન તથા અરવિંદ કેજરીવાલ પર જોખમ વિશે સતત રિપોર્ટ મળી રહ્યા છે. જે અમે સંબંધિત એજન્સીઓને મોકલી રહ્યા છીએ.
ચૂંટણીપંચના નિર્દેશ બાદ અમે કેજરીવાલની સુરક્ષામાં તહેનાત પંજાબ પોલીસના જવાનોને હઠાવી લીધા છે. અમે અમારી ચિંતા વ્યક્ત કરી છે. અમને જે ઇનપુટ્સ (ગુપ્ત માહિતી) મળે છે, તે દિલ્હી પોલીસને મોકલતા રહીશું.