GSTમાં દર ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચે તે જોવા સરકારનો નિર્ણય: NDA સાંસદોને જવાબદારી
કેન્દ્ર સરકારે બુધવારે લગભગ 400 વસ્તુઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના ઘટાડવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. સરકારે હવે આ રાહતનો સીધો લાભ ગ્રાહકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે એક વિગતવાર દેખરેખ પદ્ધતિ તૈયાર કરી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ટેક્સ ઘટાડા પછી ઉદ્યોગની કંપનીઓ શક્ય તેટલી વહેલી તકે કિંમતો ઘટાડે છે અને લાભ ગ્રાહકો સુધી પહોંચે છે, જેથી નજીકથી નજર રાખવામાં આવે.
અહેવાલો અનુસાર, પરોક્ષ કર વિભાગ વર્તમાન ભાવોનો ડેટા એકત્રિત કરી રહ્યું છે અને 22મી સપ્ટેમ્બરથી અમલમાં આવ્યા પછી નવા દરો સાથે તેની તુલના કરશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, કિંમતોમાં ઘટાડાની અસર દેખાવામાં થોડા દિવસો લાગી શકે છે કારણ કે કંપનીઓએ ગોઠવણો કરવી પડશે, પરંતુ સરકાર સતત નજર રાખશે.
સરકારે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની સાંસદોને પણ તેમના સંબંધિત ક્ષેત્રોમાં ખાતરી કરવા સૂચના આપી છે કે, કંપનીઓ લાભો ફક્ત પોતાના સુધી મર્યાદિત ન રાખે પરંતુ ગ્રાહકો સુધી પહોંચાડે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંકેત આપ્યો છે કે ગ્રાહકોને નવરાત્રિ સુધીમાં રાહત મળવી જોઈએ અને તેની નક્કર અસર દિવાળી સુધીમાં અનુભવવી જોઈએ.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલે વ્યક્તિગત સ્તરે જીવન અને આરોગ્ય વીમા ખરીદવા પર GST સંપૂર્ણપણે માફ કરી દીધો છે. અત્યાર સુધી આના પર 18 ટકા કર લાગતો હતો. આનો સીધો લાભ લાખો પોલિસીધારકોને થશે. સરકારે જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે ટેક્સ મુક્તિનો સંપૂર્ણ લાભ ગ્રાહકો સુધી પહોંચાડે, જેથી ખાનગી કંપનીઓ પણ આવું કરવાની ફરજ પડે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ગ્રાહકોના લાભ, ઝડપી આર્થિક વૃદ્ધિ અને બજાર વિસ્તરણ માટે તમામ ક્ષેત્રોએ લાભો વહેંચવાની ખાતરી આપી છે. કેટલીક કંપનીઓ લાભો રોકી રાખે તે શક્ય નથી, કારણ કે ગ્રાહકો સારી રીતે જાણે છે કે GST દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અમૂલ, મોન્ડેલેઝ, ગોદરેજ ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ અને કોલગેટ જેવી ઘણી કંપનીઓએ ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવાનું વચન આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સરકાર પાસે એન્ટી પ્રોફિટિયરિંગ જોગવાઈઓનો ઉપયોગ કરવાનો વિકલ્પ છે, હાલમાં સરકાર ઈચ્છે છે કે ઉદ્યોગ સ્વેચ્છાએ ભાવ ઘટાડે. અધિકારીઓ માને છે કે સ્પર્ધાને કારણે, મોટાભાગની કંપનીઓને ગ્રાહકોને લાભ આપવાની ફરજ પડશે.