ઉત્તર પ્રદેશના બહરાઈચમાં ગમખ્વાર અકસ્માત: ટ્રક અને બસ વચ્ચે જોરદાર ટક્કર થતાં 3 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત, અનેક ઘાયલ
ઉત્તર પ્રદેશના બહરાઈચમાં આજે એક મોટો ગમખ્વાર અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ, બહરાઈચ-શ્રાવસ્તી બોર્ડર પર એક ટ્રક અને ખાનગી બસની ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ડઝનેક લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાં ઘણા લોકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
મળતી માહિતી મુજબ, ગુજરાતના રાજકોટથી મુસાફરો સાથે બલરામપુર જઈ રહેલી ડબલ ડેકર બસ ગાઢ ધુમ્મસના કારણે દેહત કોતવાલી વિસ્તારમાં આવેલા ધરસ્વા નજીક બલરામપુર તરફથી આવતી ટ્રક સાથે અથડાઈ હતી. બૂમો સાંભળીને આસપાસના લોકો જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેઓ અકસ્માત જોઈને સ્તબ્ધ થઈ ગયા અને તાત્કાલિક પોલીસને જાણ કરી.
અકસ્માતની ગંભીરતાની જાણ થતાં જ પોલીસ અધિક્ષક પ્રશાંત વર્મા અને સીઓ સિટીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બસમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે ડઝનબંધ લોકો બસમાં ફસાઈ ગયા હતા. બચાવકર્મીઓએ બસમાંથી ફસાયેલા લોકોને બહાર કાઢ્યા અને એમ્બ્યુલન્સની મદદથી મેડિકલ કોલેજ મોકલ્યા, જ્યાં ઘણા લોકોની હાલત ગંભીર છે.